લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોર સાથે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે
૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ્વલંત સફળતા અપાવ્યા બાદ ચૂંટણીના ચાણક્ય તરીકે જાણીતા થયેલા અને અત્યારે જનતા દળ (યુનાઇટેડ)માં ઉપાધ્યક્ષનું પદ ધરાવતા પ્રશાંત કિશોરે ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેતાં અનેક પ્રકારના તર્કવિતર્કો થવા લાગ્યા હતા, પરંતુ મળતી આધારભૂત માહિતી મુજબ મોદીના દૂત બનીને આવેલા પ્રશાંત કિશોર શિવસેના-BJP વચ્ચે યુતિની રણનીતિ ઘડશે.
ગઈ કાલે માતોશ્રીમાં બપોરે ૧૨ વાગ્યે પ્રશાંત કિશોર પહોંચી ગયા હતા અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી અને યુતિ વિશે ચર્ચાઓ કરી હતી. પ્રશાંત કિશોરે મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન પૂછ્યો હતો કે ૨૪-૨૪ની ફૉમ્યુર્લાથી યુતિ કરવામાં તમને શું વાંધો છે? યુતિની ઘોષણા કેમ અટકાવીને રાખી છે?
ADVERTISEMENT
પ્રશાંત કિશોર સાથે ગઈ કાલે મળેલી મીટિંગમાં માતોશ્રી પર શિવસેનાના સંસદસભ્યો પણ ભેગા થયા હતા. પ્રશાંત કિશોરે સંસદસભ્યો અને વિધાનસભ્યો સાથે ચર્ચાવિચારણા કરી ચૂંટણી લડવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી BJP-શિવસેના સાથે મળીને લડશે એમ જણાવતાં ઇલેક્શન મૅનેજમેન્ટ એક્સપર્ટ પ્રશાંત કિશોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી વખતે NDAના ઘટકપક્ષોમાં એકતા જળવાઈ રહે એ હેતુથી હું માતોશ્રી પર ગયો હતો અને ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ અકબંધ રાખવા ચર્ચા કરી હતી. મીટિંગમાં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. લોકસભાની ચૂંટણી માટે શિવસેના સાથે યુતિ થઈ જવાની આશા છે.’
એક બેઠક માટે યુતિ કેમ રોકી કહ્યા છો એવો પ્રશ્ન પ્રશાંત કિશોરે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કર્યો હતો. BJP ૨૪:૨૪ના ધોરણે બેઠકોની વહેંચણી કરવા તૈયાર છે, જ્યારે શિવસેના ૨૫:૨૩ની ફૉમ્યુર્લા માટે જીદ કરી રહી છે.
લગ્નમાં વરરાજા તમે, જાનૈયાઓ પણ તમે જ પછી એકાદ બેઠક માટે લગ્ન કેમ અટકાવી રાખો છો એવા શબ્દોમાં ઉદ્ધવને સમજાવતાં પ્રશાંત કિશોરે BJP સાથે યુતિ કરવાની સલાહ આપી હતી. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં શિવસેનાને પ્રચારમાં મદદ કરવાની તૈયારી પણ પ્રશાંત કિશોરે દાખવી હતી.
આ પણ વાંચો : ડિફેન્સ માટેની કરોડોની દવાઓ ઓપન માર્કેટમાં વેચવાનું કૌભાંડ પકડાયું
માતોશ્રીમાં લગભગ પાંચ કલાક સુધી રહેલા પ્રશાંત કિશોરે ઉદ્ધવ સાથે ચર્ચા કર્યા બાદ શિવસેનાના સંસદસભ્યો અને નેતાઓ હેમંત ગોડસે, ગજાનન કીર્તિકર, શિવાજી પાટીલ, ચંદ્રકાંત ખૈરે, રાહુલ શેવાળે, અરવિંદ સાવંત, અનંત ગીતે, સંજય રાઉત, શ્રીકાંત શિંદે સાથે રામદાસ કદમ, સંજય રાઠોડ, નીલમ ગોરેને ચૂંટણી લડવાની તૈયારી કરવા માટેની કેટલીક ટિપ્સ પણ આપી હતી.