કાશ્મીરના ત્રણ ગામોમાં આ ૧૫મી જાન્યુઆરીએ પહેલી વાર વીજપુરવઠો પહોંચશે
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારનાં ત્રણ ગામોમાં આવતી ૧૫ જાન્યુઆરીએ પહેલી વખત સત્તાવાર રીતે વીજપુરવઠાનો આરંભ થશે. એ ગામડાંના લોકોએ થોડાં અઠવાડિયાં પહેલાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સમક્ષ વીજપુરવઠાના અભાવની સમસ્યા રજૂ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરના આદેશથી તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી કનેક્શનની ટેક્નિકલ અને વહીવટી ઔપચારિકતા અને વ્યવસ્થા પૂરી કરીને ૧૫ જાન્યુઆરીથી ગામમાં રોશનીનો ઝળહળાટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ૯૩ ગામ અને ૩૩ ગ્રામપંચાયતો ધરાવતા થાત્રી તાલુકા ક્ષેત્રના સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ અત્તાર અમીન ઝરગેરે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. દેશને આઝાદી મળ્યાના સાત દાયકા વીતી ગયા છતાં આ ગામોમાં વીજપુરવઠો પહોંચ્યો નહોતો.