નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલની ગંભીર ચેતવણી
૧ અબજ ભારતીયોને થશે કોરોના
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલનું કહેવું છે કે જો લોકો સાવચેતી રાખશે નહીં તો ભારતની લગભગ ૮૫ ટકા વસ્તી એટલે કે એક અબજની વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.
ડૉક્ટર પૉલે કહ્યું કે લોકોને હવે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું કડક પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે દેશમાં આશરે ૮૦-૮૫ ટકા લોકો એવા છે જે સરળતાથી કોરોના વાઇરસની ઝપટમાં આવી શકે છે. જો તહેવારની સીઝનમાં ધ્યાન રાખવામાં નહીં આવે તો લોકો સરળતાથી કોરોનાના ભરડામાં આવી જશે. દેશમાં કોવિડ-૧૯ કેસ વધી રહ્યા છે અને વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ડૉક્ટર પૉલે કહ્યું કે વાઇરસની પાછળનું વિજ્ઞાન એવું છે કે તે એક વ્યક્તિથી પાંચ લોકોમાં અને પાંચ લોકોથી પચાસ લોકોમાં ફેલાય છે. તેમણે કહ્યું કે ઝડપથી વધી રહેલા કેસોની વચ્ચે પણ દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.