પોલીસને કરવી પડે છે આતંકવાદીની મહેમાનગતિ
અકેલા
મુંબઈ, તા. ૧૮
ADVERTISEMENT
૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર પૈકીના એક સઈદ ઝબિયુદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુન્દાલ પણ વહેલી સવારે પાંચ વાગ્યે રોજા શરૂ કરતાં પહેલાં ભેજા ફ્રાય તથા મલાઈ માગે છે. ધાર્મિક લાગણીને માન આપવા તેની સુરક્ષાની જવાબદારી સ્વીકારતા પોલીસોએ તેની આ માગણીને સ્વીકારવી પડે છે.
ઑગસ્ટ ૨૦૦૯માં અજમલ કસબ મટન બિરયાની માગતો હતો. જેલ-ઑથોરિટીએ તેની ફરિયાદ કરતાં જજ એમ. એલ. તાહિલયાણીએ તેને ચીમકી પણ આપી હતી. અત્યારે અબુ જુન્દાલને કાલાચોકીમાં આવેલી ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ની કસ્ટડીમાં કેદ રાખવામાં આવ્યો છે અને એવી જ કંઈક માગણી પોતાની સુરક્ષા માટે મૂકવામાં આવેલા પોલીસો સમક્ષ તે કરી રહ્યો છે.
એટીએસનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘ગમેત્યારે તે ભેજા ફ્રાય તથા મલાઈ માગે છે. ર્કોટમાં તે કોઈ ખોટા આક્ષેપો ન કરે એવા ડરથી પોલીસ તેની તમામ માગણીઓ પૂરી કરે છે.’
મુંબઈ એટીએસના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે ‘જુન્દાલ ખજૂર, દૂધ, મલાઈ, ખીમા તથા ભેજા ફ્રાયની માગણી કરે છે. મોડી રાતે આ તમામ મળવું અઘરું છે, પરંતુ ભલે તે આતંકવાદી હોય છતાં અમે તેની ધાર્મિક લાગણીઓને દૂભવવા નથી માગતા. દરરોજ સવારે પાંચ વાગ્યે અમારો એક કૉન્સ્ટેબલ તે રોજા રાખી શકે એ માટે જમવાનું લેવા જાય છે.’
ઘણી વખત વહેલી સવાર સુધી ખુલ્લા રહેતા મોહમ્મદ અલી રોડ પરથી ખાવાની મોટા ભાગની વસ્તુઓ મળી જાય છે. ઘણી વખત ઑફિસની આસપાસ રહેતા મુસ્લિમોને અથવા તો સંસ્થાઓને પણ આવી વ્યવસ્થા કરી આપવા જણાવવામાં આવે છે. આતંકવાદીને આપવામાં આવતો ખોરાક વધુ સ્પાઇસી ન હોય એની કાળજી રાખવામાં આવે છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મૂળ વતની એવા અબુ જુન્દાલને જૂન મહિનામાં સાઉદી અરબમાંથી ભારતમાં પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) તથા એના ઑફિસરોએ ભજવેલી ભૂમિકાનો પર્દાફાશ અબુ જુન્દાલે કર્યો હતો. તેની ધરપકડ થયાના સમાચાર પછી હજી સુધી તેના પરિવારમાંથી કોઈ પણ તેને મળવા નથી આવ્યું. પોતે પરિણીત હોવા છતાં પત્ની તથા બાળક સાથે પણ તે વાત કરવા નથી ઇચ્છતો.
જેલનો સામાન્ય ખોરાક
૧. ઉપમા, પૌંઆ, દૂધ ૧૦૦ મિલીલિટર તથા ૧ કપ ચા (સાત વાગ્યે નાસ્તામાં)
૨. દાળ, રોટલી, ભાત તથા શાકભાજી (સવારે ૧૦ વાગ્યે લંચમાં)
૩. દાળ, રોટલી, ભાત તથા શાકભાજી (૩.૩૦ વાગ્યે ડિનરમાં)