વડા પ્રધાને કોચી-મેંગલુરુ ગૅસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું
ફાઈલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી-મેંગલુરુ નેચરલ ગૅસ-પાઇપલાઇનની શરૂઆત વિડિયો-કૉન્ફરન્સ દ્વારા કરી છે. મોદીએ કહ્યું હતું કે ૪૫૦ કિમીની કોચી-મેંગલુરુ પાઇપલાઇનના ઉદ્ઘાટનથી ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. હું કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવું છું. પાઇપલાઇન એ વાતનું ઉદાહરણ છે કે દરેક લોકો સાથે મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી. એન્જિનિયરિંગના લોકો જાણે છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો મુશ્કેલ હતો, પરંતુ ખેડૂતો, સરકાર, ટેક્નિશિયન્સની મદદથી એને પૂરો કરવામાં આવ્યો છે.
વડા પ્રધાને કહ્યું હતું આ પાઇપલાઇન કેમ જરૂરી છે, એને તમે એ રીતે સમજી શકો છો કે એનાથી બન્ને રાજ્યોમાં ઇઝ ઑફ લિવિંગ વધશે. વેપારીઓનો ખર્ચ ઓછો થશે. આ પાઇપલાઇન અનેક શહેરોમાં સીએનજી આધારિત સિસ્ટમને પ્રેરણા આપશે. ઓછા ભાવે ફર્ટિલાઈઝર બની શકશે. ખેડૂતોને મદદ મળશે. સ્વચ્છ ઊર્જા મળશે. કાર્બન એમિશન ઓછું થવાને કારણે પ્રદૂષણ ઘટશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, બીમારીઓનો ખર્ચ ઘટશે. શહેરમાં ગૅસ આધારિત વ્યવસ્થા થશે, ટૂરિઝમ વધશે.