નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ
શ્રી સોમનાથ ટ્રસ્ટની મળેલી ઑનલાઇન બેઠકનો વિડીયો ગ્રેબ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના શ્રી સોમનાથ ટ્રસ્ટની ગઈ કાલે મળેલી ઑનલાઇન બેઠકમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ટ્રસ્ટી મંડળની ઑનલાઇન બેઠક મળી હતી જેમાં સ્વ. કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિનો ઠરાવ કરી તેમના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. નવા અધ્યક્ષની નિમણૂક માટે સર્વાનુમતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના આઠમા અધ્યક્ષ બન્યા છે.’
ADVERTISEMENT
આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે. ડી. પરમાર, પ્રવિણ કે. લહેરી તેમ જ હર્ષવર્ધન નિઓટિયા ઉપસ્થિત રહ્યા હતા અને આવક-જાવક તેમ જ યાત્રિકોની સુવિધા અને પ્રોજેક્ટ વિશે રિવ્યુ કરવામાં આવ્યા હતા.