અમદાવાદમાં નરેન્દ્ર મોદી કહ્યું,'અહીંથી સંગઠનના સંસ્કાર મળ્યા'
IMage Cortesy : ANI
લોકસભાની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ અમદાવાદના જે. પી. ચોકમાં કાર્યકર્તાઓ અને લોકોની જંગી સભાને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સુરતની આગની ઘટનાનો ઉલ્લેખ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું ગઈકાલથી દુવિધા હતી કે આ કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં. એક બાજુ કર્તવ્ય હતું અને બીજી બાજુ કરુણા. સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી દે તેવી છે. અનેક કુંટુંબનો દીપ બુઝાઈ ગયો. એક રીતે એ પરિવારના આશા-અરમાન ભસ્મીભૂત થઈ ગયા. જેટલું પણ દુઃખ કરીએ એ ઓછું છે. જેટલી પણ સંવેદના કરીએ તે ઓછું છે. પરિવાર પર આવી પડેલા સંકટમાં આપણે પ્રાર્થના કરીએ.
આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 2014ની ચૂંટણીમાં દેશ મને નહોતો ઓળખતો, પરંતુ દેશ ગુજરાતને ઓળખતો હતો. એ સમયે એવું વાતાવરણ હતું કે ગુજરાતના ગામેગામમાં પાકા રસ્તા છે. ગુજરાતનો બધી જ રીતે વિકાસ થયેલો છે. ગુજરાતના વિકાસને લીધે જ ત્યારે ભાજપને જનાદેશ મળ્યો હતો.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે જંગી જનસભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે ગુજરાતીઓનો મત આપવા બદલ આભાર માન્યો. પોતાના સંબોધનમાં અમિત શાહે પણ સુરતની ઘટનામાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમની માટે સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રચંડ જીત મેળવીને વતન આવેલા 2019 મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી સહિતના નેતાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.