સીએએનો અમલ નહીં કરો એની ખાતરી આપો તો સમેટીએ ધરણાં
નાગપાડામાંના ‘મુંબઈ-બાગ’ આંદોલનમાં મોખરે છે મહિલાઓ. તસવીર : આશિષ રાજે
મધ્ય મુંબઈના નાગપાડા વિસ્તારના ‘મુંબઈ બાગ’માં કેન્દ્ર સરકારના નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલતા ધરણા-વિરોધ પ્રદર્શન પાછા ખેંચાવવાના કેટલાક જૂથોના પ્રયાસ નિષ્ફળ જતાં ગઈ કાલે એ ધરણાને આઠ દિવસ પૂરા થયા હતા. ગઈ કાલે સતત આઠ દિવસથી વિરોધ પ્રદર્શનો કરી રહેલાઓનું એટલું જ કહેવું છે કે સીએએ, એનઆરસી અને એનપીઆરના મુદ્દે રાજ્યની મહા વિકાસ આઘાડી સરકાર એક ઠરાવ લઈ આવે કે આનો અમલ નહીં થાય. એક વાર અમારી આ માગણી પૂરી થાય એ પછી અમે તરત જ અમારું આંદોલન પાછું ખેંચી લઇશું. વિરોધકો ટસના મસ થવા તૈયાર નથી ત્યારે ઝોનલ ડેપ્યુટી પોલીસ કમિશનર અભિનાશ કુમારે વિના પરવાનગીએ ચાલી રહેલા આ આંદોલનને કારણે ટ્રાફિકની સમસ્યાને લીધે તેમને આંદોલન સમેટી લેવાની વૉર્નિંગ આપી દીધી છે.
નાગપાડાના મોરલૅન્ડ રોડના એક કૉર્નર પર પરવાનગી વગર ધરણા ચાલતા હોવાથી જગ્યા ખાલી કરવાનું પોલીસે કહ્યા પછી શનિવારે કેટલાક વિરોધ-પ્રદર્શકોએ વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો. એ વખતે બધા દેખાવકારો વિમાસણમાં મુકાયા હતા. જોકે ધરણા પાછા ખેંચાયા હોવાની જાહેરાત કરાયા બાદ થોડા વખતમાં મોટું જૂથ સ્થળ પર પહોંચ્યું અને સૂત્રોચ્ચાર કરવા માંડ્યું ત્યારે ધરણા અને વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મુંબઈ-બાગ આંદોલન વિખેરી નાખવા પોલીસના સતત પ્રયાસ
ધરણાના આયોજક ફિરોઝ મીઠીબોરવાલાએ જણાવ્યું હતું કે ‘આંતરિક પરિબળો અને પોલીસના ‘મુંબઈ બાગ’ વિરોધ-પ્રદર્શનને વિખેરી નાખવાના પ્રયાસ છતાં હજી આંદોલન ચાલુ છે. અમે હવે વધુ મજબૂત અને સંકલ્પબદ્ધ છીએ. ૨૬ જાન્યુઆરીથી મહિલાઓનો સમૂહ વિરોધ-પ્રદર્શન કરી રહ્યો છે. અમારા શાંતિમય ધરણાને ચાલુ રાખવામાં આયોજકોને સહકાર આપવાનો પોલીસને અનુરોધ કરીએ છીએ. મુંબઈ બાગ હવે શાહીનબાગ બન્યો છે અને અમે વિરોધ-પ્રદર્શન બંધ કરાવવાના બધા પ્રયાસ નિષ્ફળ બનાવ્યા છે.’
ફિરોઝ મીઠીબોરવાલાએ તમામ નાગરિકોને આંદોલનમાં જોડાઈને માગણીઓને સમર્થન આપવાનો અનુરોધ કર્યો હતો. શનિવારે રાતે ૧૦.૩૦ વાગ્યે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ આઇશી ઘોષે મુંબઈ બાગમાં ધરણાના સ્થળે જઈને આંદોલનકારોને સંબોધન કર્યું હતું. એ વખતે પોલીસે આઇશી ઘોષને મેગાફોનનો ઉપયોગ કરતાં રોક્યાં હતાં. પોલીસે કહ્યું હતું કે રાતે ૧૦ વાગ્યા પછી લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમના વપરાશ પર પ્રતિબંધ મુકાયો છે. આઇશી ઘોષે લાઉડસ્પીકર વગર આંદોલનકારોને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો : મુંબઈ: બાંદરાના કલાનગર જંક્શન પર બે દિવસમાં ત્રણ અજગરને ઉગારાયા
મારી પાસે મારા બધા જ દસ્તાવેજો છે. મારા પિતા પાસે ૧૯૪૫નું તેમનું બર્થ સર્ટિફિકેટ છે. પરંતુ મારે આમાંનું કશુંય મારી નાગરિકતા પુરવાર કરવા માટે દેખાડવાની જરૂર શું છે?
- કાઝી મુનિરા
વિરોધકોએ ટ્રાફિક રોક્યો છે અને તેઓને કારણે બીજાઓને તકલીફ પડે છે. તેમની સામે આકરાં પગલાં લેવાશે.
- અભિનાશ કુમાર, ડેપ્યુટી પોલીસ કમિશનર