મોદી સરકારનો વિરોધ કરવા રાજકીય પગલું: ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી બંધને એમવીએ દ્વારા આપવામાં આવેલું સમર્થન કૃષિ અને બજાર સુધારણા પરના સાથી પક્ષોના અગાઉના વિચારોથી વિરોધાભાસી છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર મોદી સરકારનો વિરોધ કરવા માટે આ રાજકીય પગલું ભરવામાં આવ્યું છે.
તેમણે તત્કાલી કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે મુખ્ય પ્રધાનોને પાઠવેલો પત્ર ટાંક્યો હતો, જેમાં તેમણે તેઓ યુપીએમાં પ્રધાન હતા ત્યારે તેમની અધ્યક્ષતા હેઠળ હાથ ધરાયેલી સુધારણાઓનું સમર્થન કરવાની માગણી કરી હતી. સુધારણા લાવનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું. તો રાષ્ટ્રીય સ્તરે તેઓ આવી સુધારણાનો વિરોધ શા માટે કરે છે? કૉન્ગ્રેસે પણ ૨૦૧૯ના એના ચૂંટણીઢંઢેરામાં એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ઍક્ટ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું એમ તેમણે સૂચિત બંધની આગલી સાંજે પત્રકાર-પરિષદને સંબોધતાં ઉમેર્યું હતું.
ADVERTISEMENT
તો એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સિનિયર મંત્રી નવાબ મલિકે જણાવ્યું હતું કે ભાજપ ઇરાદાપૂર્વક પવારનો જૂનો પત્ર પ્રસિદ્ધ કરી રહ્યું છે. પવારસાહેબ રાજ્યો સમાવેશક મૉડલ સાથેનો એપીએમસી ઍક્ટ ઘડે એમ ઇચ્છતા હતા, પરંતુ મોદી સરકારના ત્રણ કાયદા રાજ્યોને અને એપીએમસીને કોઈ અધિકાર આપતા નથી. કૃષિ મંત્રાલયનું સંચાલન કરવા દરમ્યાન પવારસાહેબે કદી એકતરફી નિર્ણય લીધો નહોતો. તેઓ રાજ્યો સાથે મંત્રણા કરતા હતા. તેમણે કદી કેન્દ્રના અધિનિયમો રાજ્યો પર લાગુ કર્યા ન હતા, બલકે રાજ્યોને સુધારા કરવાની સ્વતંત્રતા આપી હતી. મોદી સરકારે એપીએમસીને નિષ્ક્રિય કરી નાખી છે અને એમએસપી પર કોઈ ગૅરન્ટી આપતા નથી અને જ્યારે વિરોધ ઉગ્ર બને છે ત્યારે કેન્દ્ર સરકાર એમએસપી પર વાત કરવા લાગી છે એમ તેમણે જણાવ્યું હતું.