Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાઈ ગયું મુંબઈથી, મુંબઈ થકી

ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાઈ ગયું મુંબઈથી, મુંબઈ થકી

28 November, 2020 08:03 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાઈ ગયું મુંબઈથી, મુંબઈ થકી

શરૂઆતમાં હતો એ શિરોરેખાનો ભાર પછીથી દૂર થયો

શરૂઆતમાં હતો એ શિરોરેખાનો ભાર પછીથી દૂર થયો


‘દીપે અરુણું પરભાત’ એ શબ્દો લખતી વખતે કવિ નર્મદની નજર સામે કયું ‘પરભાત’ હતું? સંભવ છે કે તેમની નજર સામે પશ્ચિમ ભારતમાં (આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં) ૧૯મી સદીના આરંભથી જે અર્વાચીનતાનાં અજવાળાં પથરાવા લાગ્યાં હતાં એ હોય. અર્વાચીનતાના સૂર્યરથના આગમનની છડી પોકારનાર સારથિ અરુણ નજરે પડતો હતો. અરુણ આવ્યો છે તો એની પાછળ રાત્રિની જવનિકાનું છેદન કરનાર સૂર્યનું આગમન તો અનિવાર્ય. અર્વાચીનતાના એ સૂર્યરથના સાત અશ્વો કયા? એ સાત અશ્વો હતા ઃ ૧. મુદ્રણકળા ૨. એને પરિણામે શક્ય બનેલાં મુદ્રિત પુસ્તકો, અખબારો અને સામયિકો. ૩. મુદ્રિત પુસ્તકોને લીધે શક્ય બનેલું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ ૪. મુદ્રણને પરિણામે શક્ય બનેલા લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા ૫. આ બધાના સાથથી શરૂ

થયેલી નવજાગૃતિ માટેની ચળવળ ૬. નવા શિક્ષણને પરિણામે અંગ્રેજી સાહિત્યનાં પરિચય, પ્રેરણા અને પ્રભાવ ૭. પરદેશોના પ્રવાસ, એને કારણે થયેલો નવી દુનિયાનો પરિચય અને એમાંથી મળેલી પ્રેરણા. આ બધાને પરિણામે વીતી ગઈ છે રાત. હા, હજી મધ્યાહ્‍ન થયો નહોતો નવા જીવનનો, નવા સમાજનો, નવી વ્યવસ્થાનો; પણ એનાં શુભ શકુન તો દેખાઈ રહ્યાં છે અને એટલે જ કવિને આશા જ નહીં, શ્રદ્ધા છે કે ‘મધ્યાહ્‍ન શોભશે.’ પણ અર્વાચીનતાનું આ અજવાળું આજના ગુજરાતમાં ફેલાયું ક્યાંથી? જવાબ જરા અગવડભર્યો છે, પણ અર્વાચીનતાનું અજવાળું આજના ગુજરાતમાં પથરાયું મુંબઈથી, મુંબઈ થકી, મુંબઈ દ્વારા.



પણ આમ થયું કેમ કરીને? એ સમજવા માટે ૧૯મી સદીની પશ્ચિમ ભારતની રાજકીય ભૂગોળ સમજવી પડશે. પશ્ચિમ ભારતમાં મુંબઈ કરતાં પહેલાં અંગ્રેજો સુરત જઈને વસ્યા હતા. મોગલ શહેનશાહ જહાંગીરની પરવાનગીથી અંગ્રેજોએ ઠેઠ ૧૬૧૩ના જાન્યુઆરીના અરસામાં સુરતમાં પોતાની ફૅક્ટરી કહેતાં ઑફિસ શરૂ કરી હતી, પણ એ વખતે અંગ્રેજોને માત્ર વેપારમાં રસ હતો. એ માટે ખપ પૂરતા જ તેઓ સ્થાનિક ગુજરાતીઓના સંપર્કમાં આવતા હતા. તેમના જીવનમાં ન તો અંગ્રેજોને કશો રસ હતો કે ન તો ત્યાંના ગુજરાતીઓને અંગ્રેજોનાં જીવન, રહેણીકરણી, ભાષા વગેરેમાં રસ હતો. પછી ધીમે-ધીમે બ્રિટિશ સત્તા પશ્ચિમ ભારતમાં ફેલાવા લાગી ત્યારે વેસ્ટર્ન પ્રેસિડન્સીની સ્થાપના થઈ, જેનું વડું મથક હતું સુરત. પોર્ટુગીઝો પાસેથી દાયજામાં


મળેલું મુંબઈ જ્યારે ગ્રેટ બ્રિટનના તાજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વર્ષના ૧૦ પાઉન્ડથી ભાડે આપ્યું ત્યારે મુંબઈનો કબજો સુરતના ગવર્નરે લીધો હતો અને કબજો લીધા પછી તે

તરત સુરત પાછો ગયો હતો અને એ પછી ફરી તેણે ક્યારેય મુંબઈમાં પગ મૂક્યો નહોતો. ૧૬૬૮થી ૧૬૮૭ સુધી મુંબઈ સુરતના ગવર્નરના તાબા નીચે હતું, પણ મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નરો સંભાળતા. ૧૬૮૭માં પશ્ચિમ ભારતનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સી બની


બૉમ્બે પ્રેસિડન્સી અને એ દિવસથી સુરતનો સૂર્ય આથમવા લાગ્યો અને મુંબઈનો ઊગતો થયો. આ જોઈને હતાશ થયેલા સુરતપુત્ર કવિ નર્મદે ગાયું ઃ

આ તે શા તુજ હાલ સુરત, સોનાની મુરત,

થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત! 

મુંબઈથી અંજાઈ, લોક તો વસ્યા જઈ તહીં,

અસ્ત થયો તુજ સૂરજ,

રાત તો પડી ગઈ અહીં.

... પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો એ પહેલાં જ સુરત બાજુથી આવેલા પારસીઓ મુંબઈમાં વસવાટ કરતા અને તેમનાં વેપારવણજ, કારભાર વગેરેમાં મહત્ત્વનો ભાગ લેતા થયા હતા. છેક ૧૬૪૦માં પહેલવહેલા પારસીએ મુંબઈમાં વસવાટ કર્યો હતો. તેમનું નામ હતું દોરાબજી નાનાભાઈ. સુરત પાસેના સુમારી ગામથી આવીને તેઓ મુંબઈ વસ્યા હતા. વખત જતાં તેમનું કુટુંબ પટેલ ખાનદાન તરીકે ઓળખાતું થયું. તેમના વંશજ કાવસજી પટેલે ૧૭૭૫માં ભુલેશ્વર નજીક પોતાના

ખર્ચે તળાવ બંધાવ્યું હતું જેથી એ વિસ્તારના લોકોની પીવાના પાણીની હાડમારી દૂર થઈ હતી. પહેલાં એ તળાવ કાવસજી પટેલ તળાવ તરીકે અને પછી સી. પી. ટૅન્ક તરીકે ઓળખાતું થયું. આજે હવે એ જગ્યાએ તળાવનું નામોનિશાન નથી, છતાં લોકો એ વિસ્તારને સી. પી. ટૅન્ક તરીકે જ ઓળખે છે, પછી મ્યુનિસિપાલિટીના ચોપડે ભલે બીજું ગમે તે નામ નોંધાયું હોય.

મુંબઈ આવ્યા એ પહેલાં પણ દોરાબજી પોર્ટુગીઝ વેપારીઓ સાથે વેપાર કરતા હતા અને એટલે પોર્ટુગીઝ ભાષા જાણતા હતા અને ગુજરાતી તો તેમની જ ભાષા એટલે મુંબઈની રાજવટ ચલાવવામાં દોરાબજી પોર્ટુગીઝ શાસકોને એટલા તો મદદરૂપ થઈ પડેલા કે તેમણે જ્યારે મુંબઈનો ટાપુ અંગ્રેજોને સોંપ્યો ત્યારે કારભારમાં દોરાબજીની મદદ લેવા અને એ માટે કોઈ સારા હોદ્દા પર તેમની નિમણૂક કરવા પોર્ટુગીઝોએ અંગ્રેજ પ્રતિનિધિને ખાસ ભલામણ કરી હતી અને એ પ્રમાણે દોરાબજી મુંબઈમાંના અંગ્રેજ શાસન સાથે પહેલેથી જ જોડાયા હતા. ૧૬૮૯માં તેઓ બહેસ્તનશીન થયા હતા.

અર્વાચીનતાના રથનો પહેલો અશ્વ હતો ગુજરાતી મુદ્રણ અને એની સગવડ પહેલી વાર ઊભી કરી હતી એક પારસી નબીરાએ. એવણનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બૉમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝિટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા, એટલું જ નહીં, પ્રેસને જરૂર પડી ત્યારે એકલાહા થે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં તેમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય, પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે; એક, પારસીઓ અને તેમના પ્રદાન વિશેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિશે નોંધ્યું છે કે ‘મિસ્ટર એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.’ બે, બૉમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું ઃ ‘ગ્રામર ઑફ ધ મલબાર લૅન્ગ્વેજ.’ લેખક હતા ડૉ. રૉબર્ટ ડ્રમન્ડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહીં એટલે પુસ્તક ઇંગ્લૅન્ડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું, પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બૉમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલા હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહીં, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યાં છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલા હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી અને આ બીબાં એટલે અર્વાચીનતાના પહેલા અશ્વ સમા મુદ્રણનાં પનોતાં પગલાં.

બહેરામજીના હાથે બીજું પણ એક મોટું કામ થયું, જાણ્યે કે અજાણ્યે એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઈ એ પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯મીએ જે જાહેરખબર ‘બૉમ્બે કુરિયર’માં છપાઈ એમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા હતી, પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બૉમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેરખબર છપાઈ એમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ એ ગઈ. હાથે લખાયેલાં લખાણોમાંથી પણ પછી ધીમે-ધીમે શિરોરેખા દૂર થઈ ગઈ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી હતી. 

આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી, પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે એ વખતે તેમની ઉંમર ૫૦ વર્ષ હતી એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. આજે હવે હૅન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે, પણ એથી કાંઈ બહેરામજીએ એકલા હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી. 

અંગ્રેજી અખબાર ‘બૉમ્બે કુરિયર’ની શરૂઆત ૧૭૯૦માં વિલિયમ એશબર્નર નામના અંગ્રેજે કરી હતી. ૧૭૮૯માં શરૂ થયેલા ‘બૉમ્બે ગૅઝેટ’ અને આ ‘બૉમ્બે કુરિયર’ એ મુંબઈથી પ્રગટ થયેલાં પહેલવહેલાં અખબાર, માત્ર અંગ્રેજીનાં જ નહીં, કોઈ પણ ભાષાનાં. હવે જરા વિચાર કરો કે મુંબઈની સરકારને અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાત છપાવવાની જરૂર કેમ જણાઈ હશે? અઢારમી સદીના અંત સુધીમાં મુંબઈના જીવનમાં, ખાસ કરીને ધંધા-રોજગારના ક્ષેત્રે ગુજરાતીઓનું સ્થાન મહત્ત્વનું હોય તો જ આમ કરવાની જરૂર પડે. એ વખતે હજી કોઈ ‘દેશી’ ભાષાનું અખબાર તો હતું નહીં એટલે સરકારે અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાતો છપાવવાનું નક્કી કર્યું હોય.

માનશો? અમદાવાદ જેવા અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે છાપેલાં પુસ્તકો નહોતાં, અખબારો નહોતાં, ચોપાનિયાં (મૅગેઝિન માટે એ જમાનામાં વપરાતો શબ્દ) નહોતાં. આમ થવાનું એક કારણ એ કે છેક ૧૮૧૮માં અમદાવાદ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું, એટલે ત્યાં સુધી અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ અમદાવાદને ભાગ્યે જ થયો હતો. મુંબઈથી વાતા અર્વાચીનતાના વાયરાને ગુજરાતમાં બીજો પણ એક અવરોધ ઘણા વખત સુધી નડતો રહ્યો. આજના ગુજરાતનો ઘણો મોટો હિસ્સો એ વખતે જુદાં-જુદાં, નાનાં-મોટાં દેશી રજવાડાંઓમાં વહેંચાયેલો હતો. અને બે-ચાર અપવાદોને બાદ કરતાં ઘણાખરા દેશી રાજાઓ છાપખાનાં, પુસ્તકો, અખબારો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ વગેરેના ભલે અંદરખાનેથી પણ

વિરોધી હતા, કારણ, તેમને બીક હતી કે

આપણા રાજમાં આ બધું આવશે અને રૈયતને રાજવટ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરશે.

૧૮૬૭માં આખા મુંબઈ ઇલાકામાં ૧૦૮ છાપખાનાં કામ કરતાં હતાં. એમાંથી ફક્ત ચાર જ ગુજરાતનાં દેશી રાજ્યોમાં હતાં. રાજકોટમાં એક, ભાવનગરમાં એક સરકારી અને એક પ્રાઇવેટ એમ બે અને નવાનગરમાં એક. એમાંનાં ત્રણ ૧૮૬૫થી ૧૮૬૭ વચ્ચે શરૂ થયેલાં. દેશી રાજ્યોમાંનાં ખાનગી છાપખાનાં પણ રાજા કે પ્રધાનની ઇચ્છા વિરુદ્ધ કશું છાપી શકતાં નહીં. કવિ નર્મદનો ‘નર્મકોશ’ ભાવનગરના ચંદ્રોદય નામના ખાનગી

પ્રેસમાં છપાતો હતો, પણ એમાંનું કશુંક

વાંચીને કે જાણીને દીવાન ગૌરીશંકર ઓઝા એટલા તો નારાજ થયા કે એ જ ઘડીએ

તેમણે એ છાપવાનું અટકાવી દેવાનો હુકમ કર્યો અને અડધું છપાયેલું પુસ્તક એ પ્રેસે નર્મદને મોકલી દીધું.

અલબત્ત, એનો અર્થ એવો નથી કે આજના ગુજરાતમાં ૧૮૪૫ પહેલાં એકે છાપખાનું નહોતું. ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયું ૧૮૨૧માં. લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કિનર અને રેવરન્ડ વિલિયમ ફાઇવીએ એ શરૂ કર્યું હતું. પછીથી એ સુરત આઇરિશ મિશન પ્રેસ તરીકે ઓળખાતું થયું હતું. ‘નર્મકોશ’નું કામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે અટકાવ્યું એ પછી એનો બાકીનો ભાગ આ પ્રેસમાં જ છપાયો હતો. સુરતનું આ છાપખાનું ૧૩૮ વર્ષ સુધી ચાલીને ૧૯૫૯માં બંધ થયું હતું.

ગુજરાતીમાં છાપખાનાં આવ્યાં એ પછી આવ્યાં છાપેલાં ગુજરાતી પુસ્તક અને એની શરૂઆત પણ થઈ મુંબઈથી, પણ એ વિશેની વાત હવે પછી...

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2020 08:03 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK