સગા પિતા અને સાવકી માતાએ માત્ર તેર વર્ષની દીકરીને ગંગામાં ફેંકી
ADVERTISEMENT
હરિદ્વાર પાસે બુધવારે સગા પિતા અને સાવકી માતાએ તેમની ૧૩ વર્ષની દીકરીને ગંગા નદીને જોડતી કનૅલમાં ફેંકી દીધી હતી. આ બાળકી મરી ગઈ હશે એવું માનીને તેઓ જતાં રહ્યાં હતાં, પણ સીમાકુમારી નામની આ કિશોરી તરીને બહાર નીકળી ગઈ હતી. બાદમાં કેટલાક સાધુઓએ તેને આશ્રય આપ્યો હતો. ગઈ કાલે આ કિશોરીએ તેના સગા પિતા અને સાવકી માતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉત્તર પ્રદેશની વતની સીમાને તેનાં માતા-પિતા રક્ષાબંધન નિમિત્તે હરિદ્વાર લઈને આવ્યાં હતાં. જ્યારે તેઓ કનૅલ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમણે સીમાને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી. પોલીસે પેરન્ટ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જોકે તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે કિશોરીના માતા-પિતાને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.