છેલ્લાં ૨૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓની અવાજથી સેવા કરી રહ્યાં છે આ બહેન
પન્ના રાજા
તન, મન અને ધનથી થતી સેવાના ગુણગાન ઘણા છે, પરંતુ અવાજ મારફત થતી સેવા પણ એટલી જ મહત્ત્વની છે એ વિશે કાંદિવલીમાં રહેતાં અને છેલ્લા ત્રણેક દાયકાઓથી ટીવી, આકાશવાણી અને સોશ્યલ મીડિયાની સાથે સંકળાયેલાં પન્ના રાજા કહે છે, ‘જીવનમાં ક્યારેક એવો પ્રસંગ કે ઘટના એવી બની જાય છે જ્યારે તમને જીવનનો ઉદ્દેશ મળી જતો હોય છે. મારી સાથે પણ એવું જ થયું છે અને હું જોઈ ન શકતા લોકોની સેવા કરવામાં વીસ વર્ષથી સક્રિય છું. તેમના માટે મેં એક યુટ્યુબ પર એક ગુજરાતી ચૅનલ શરૂ કરી છે, જેમાં અંદર કવિતા, ગીત, ગઝલ, વાર્તા જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. મારા અવાજ થકી સુંદર સાહિત્ય અને લખાણ એ લોકોના કાન સુધી પહોંચાડું છું. આ ચૅનલ ચાલુ થયાને હજી થોડો સમય જ થયો છે, પરંતુ એનો પ્રતિભાવ ખૂબ પ્રોત્સાહિત કરનારો છે. દિવ્યાંગ ભાઈ-બહેનોને એ પસંદ પડી રહ્યો છે. તેમ જ હું ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ માટે કામ કરતી એક સંસ્થા સાથે પણ જોડાયેલી છું, જેઓ તેમને માટે મૅગેઝિન કાઢે છે, જેમાં હું અઠવાડિયામાં બે વખત મારો ઑડિયો મોકલાવું છે.’
બ્લાઇન્ડ લોકો માટે જન્મેલી લાગણી બાબતે પન્ના રાજા કહે છે, ‘એક દિવસ રસ્તામાં મારી બાજુમાંથી એક આવો દિવ્યાંગ માણસ પસાર થયો. આમ તો હું ઘણી વખત તેઓને જોતી હોઉં છું, પરંતુ એ દિવસે મને ખબર નહીં કેમ તેમના માટે ખૂબ દુઃખ થયું અને તેમના માટે કંઈક કરવાનું મન થયું. એટલે હું આ લોકોની શાળામાં પહોંચી ગઈ, જ્યાં જઈને મેં તેમના માટે શું સારું કાર્ય કરી શકું એ વિશે પૂછ્યું અને મને ત્યારે પેપર લખવાનું કામ સોંપવામાં આવ્યું. આમ હું ધીરે-ધીરે આ પડકાર ઝીલી રહેલા લોકો માટે કામ કરતી એક સેવાભાવી સંસ્થા સાથે જોડાઈ.’