દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય
દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય
કાશ્મીર મુદ્દે હચમચેલું પાકિસ્તાન ચોતરફ ભારતનો વિરોધ કરી રહ્યું છે અને વિશ્વસ્તરે કોઈ પ્રતિસાદ ન મળતાં તે આતંકવાદી પ્રવૃત્તિઓને વધારે સક્રિય કરવાના પ્રયત્નોમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતની કચ્છ સરહદે આતંકવાદી પ્રવૃત્તિઓની ચેતવણી આનું જ પરિણામ છે.
પાકિસ્તાનનાં ભારત વિરોધી કૃત્યો હેઠળ ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરી પાકિસ્તાન પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. રવિશ કુમારે જણાવ્યું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વલણ તદ્દન બેજવાબદાર છે અને હવે ભારતમાં તે હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે ભારતના આંતરિક મુદ્દે પાકિસ્તાન સતત નિવેદનો કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં જેહાદ કરવાની વાત કરી રહ્યું છે. વિશ્વ પાકિસ્તાનની નાપાક ચાલોને સમજી ચૂક્યું છે. પાકિસ્તાન માનવાધિકાર મંત્રી દ્વારા યુએનમાં પત્ર લખવાના સમાચારો વિશે રવિશ કુમારે જણાવ્યું કે તેમનો પત્ર કોઈ પણ પ્રતિક્રિયાને લાયક નથી. જોકે કાશ્મીરમાં પરિસ્થિતિ હવે સુધરી રહી છે.
પાકિસ્તાની સેના દ્વારા ભારતમાં દરિયાઈ માર્ગો દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી મામલે રવિશ કુમારે જણાવ્યું કે સરકારને આંતકવાદીઓની ઘૂસણખોરીના અહેવાલ પ્રાપ્ત થયા છે. રવિશે જણાવ્યું કે પાકિસ્તાને સામાન્ય પાડોશી દેશ તરીકે વર્તન કરવું જોઈએ, સામાન્ય વાતચીત કરવી જોઈએ, સામાન્ય વેપાર સંબંધો જાળવવા જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે તે સામાન્ય પાડોશી દેશ તરીકે વર્તે અને પાડોશી દેશમાં આતંકવાદીને ન ધકેલે.