Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવન કોઈ એક દિવસના આધારે નહીં, પણ પૂરી જિંદગીના આધારે જીવવાનું હોય

જીવન કોઈ એક દિવસના આધારે નહીં, પણ પૂરી જિંદગીના આધારે જીવવાનું હોય

08 September, 2020 11:18 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જીવન કોઈ એક દિવસના આધારે નહીં, પણ પૂરી જિંદગીના આધારે જીવવાનું હોય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં દિવસો ઊજવવામાં આવે છે, અઢળક અને બેફામ. મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલેન્ટાઇન્સ ડે તો સમજ્યા, પણ એ સિવાયના પણ દિવસો ઊજવવામાં આવે છે; સાયન્સ-ડે, નેચર-ડે, મૅથ્સ-ડે અને એવા બીજા જેકોઈ વાહિયાત હોય એ બધા. અત્યારે કહ્યા એનાથી પણ વધારે ફાલતુ કહેવાય એવા દિવસોનું પણ સેલિબ્રેશન થતું રહ્યું છે. હું માનું છું કે આ પ્રકારના દિવસોનું સેલિબ્રેશન કરનારાઓમાંથી અમુકને તો એ દિવસનો જન્મ પણ શું કામ થયો એની ખબર નહીં હોય, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ દિવસો ઊજવતી નવી જનરેશન હવે એ સ્તરે બીબાઢાળ થઈ ગઈ છે કે એ બિલકુલ ડે-મય બની ગઈ છે. એને આ દિવસો ઊજવવા છે માત્ર પેલા ફેસબુક પર લખવા માટે અને વૉટ્સઍપનું ડીપી સેટ કરવા માટે. બસ, તેમને માત્ર દુનિયાને દેખાડવું છે કે અમે આ દિવસ સેલિબ્રેટ કર્યો. આ દેખાડવાની જે માનસિકતા છે એ એવા સ્તરે હવે પહોંચી ગઈ છે કે તેઓ દેખાડાની દુનિયામાં જીવવા માંડ્યા છે.
ફાધર્સ ડેનું સેલિબ્રેશન થયું એ દિવસે મેં ફેસબુક પર લટાર મારી ત્યારે મને ખરેખર એક જ વિચાર આવ્યો હતો કે જો બાપ સૌને આટલો જ વહાલો હોય તો પેલા વૃદ્ધાશ્રમો તો ખાલીખમ હોવા જોઈએ. મધર્સ ડેના દિવસે પણ એવું જ બન્યું હતું. કોઈનું પણ વૉટ્સઍપનું ડીપી જુઓ તો એવું જ લાગે કે જગતભરનો માતૃપ્રેમ તો અહીં જ છલકાય છે. ખાલી ડીપી જ શું કામ, મેસેજમાં પણ એવું જ થતું હતું. માને લગતો એક સારો મેસેજ વાંચ્યો નથી અને ફૉર્વવર્ડ કર્યો નથી. આખો દિવસ, ઑલમોસ્ટ ૨૪ કલાક એ મેસેજમાં જ પસાર થયો હતો અને એમાં જ આ દિવસ પૂરો થયો હતો.
દિવસ પૂરો થતો હતો ત્યારે એ પણ વિચાર આવતો હતો કે એક વખત વૃદ્ધાશ્રમમાં જઈને લટાર મારી આવવી જોઈએ કે આજે કેટલા દીકરા આ માને અને આ બાપને મળવા માટે આવ્યા. કદાચ એક ટકા દીકરામાં પણ એવું કરવાની હિંમત નહીં હોય અને એવું નહીં થવા પાછળનું કારણ પણ એ જ કે તેઓ બધા ઘરમાં ઊજવાઈ રહેલા ફાધર્સ અને મધર્સ ડેમાં બહુ બિઝી હશે. નવી પેઢીની કોઈ વાતને અવગણવી નહીં એવું હું આ જ જગ્યાએથી કહી ચૂક્યો છું અને એ શબ્દોને આજે પણ વળગી રહું છું, પણ સાથોસાથ એ વાત પણ કહું છું કે ડે ઊજવવામાં રત થઈ ગયેલી આ પેઢીને ખરેખર એમાંથી બહાર કાઢીને વાસ્તવિકતા વચ્ચે લઈ આવવાની જરૂર છે. ફાધર્સ ડેનો મેસેજ ફૉર્વર્ડ કરતી વખતે જો ભૂલથી પણ બાપ બિચારો કંઈ પૂછી લે કે બોલાવે તો દીકરો એવો છણકો કરી નાખે અને મધર્સ ડેનું ડીપી સેટ કરતી વખતે જો મા જમવા માટે એક વાર વધારે બોલાવે તો દીકરાની કમાન છટકી જાય. શરમજનક અવસ્થા આવી ગઈ છે. આ શરમજનક અવસ્થા હવે વાસ્તવિકતા બની જાય એ પહેલાં ચેતી જવાની જરૂર છે. આમાં ચેતવાની જરૂર પેલી ડે-જનરેશનની છે, જે સવારથી જ આજે કયો દિવસ ઊજવવો એના વિચારોમાં લાગેલી રહે છે, જે સવારે આંખ ખોલતાં એ દિવસમાં પોતાને પોરવી દેવાની ગણતરી રાખે છે અને એવી જ ધારણા સાથે જીવન જીવે છે. જીવન કોઈ એક દિવસ સાથે જોડાયેલું ક્યારેય હોય નહીં, જીવન આખા આયખાનું ઝૂમખું છે અને એ ઝૂમખાને સવિષેપણે ચાહવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 11:18 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK