કૃષિ બિલના વિરોધમાં વિરોધ પક્ષોએ સંસદના પરિસરમાં કરી માર્ચ
સસંદના ચોમાસુ સત્ર દરમ્યાન વિરોધ પક્ષોએ ગઈ કાલે કૃષિ બિલના વિરોધમાં ગાંધી પ્રતિમાથી આંબેડકર પ્રતિમા સુધી રૅલી યોજી હતી. (તસવીર : પી.ટી.આઇ. )
કેન્દ્રના ફાર્મ બિલ સામે વિરોધ નોંધાવવા વિરોધ પક્ષોએ ગઈ કાલે સંસદના પરિસરમાં માર્ચ કરી હતી.
કૉન્ગ્રેસના ગુલામ નબી આઝાદ, ટીએમસીના બેરેક ઓબ્રેઇન અને એસપીનાં જયા બચ્ચન સહિત વિરોધ પક્ષના સાંસદોએ ખેડૂત બચાવો, કામદાર બચાવો અને લોકશાહી બચાવો જેવા નારા સાથે પરેડ કરી હતી. સૌપ્રથમ તેમણે સંસદમાં ગાંધીજીના પૂતળા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને પછી સંસદ પરિસરમાં માર્ચ યોજી હતી.
અનેક વિરોધ પક્ષોએ સંસદમાં ફાર્મ બિલનો વિરોધ કરી સંસદના બન્ને ગૃહના કામકાજનો બહિષ્કાર કર્યો હતો.
આ પહેલાં વિરોધ પક્ષના સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષ વેન્કૈયા નાયડુને પત્ર લખી વિરોધ પક્ષોની ગેરહાજરીમાં સંસદના ઉપલા ગૃહમાં કામદારોને લગતાં ત્રણ ખરડા પસાર ન કરવા જણાવી કહ્યું હતું કે જો આ ખરડો એકતરફી પસાર થઈ જશે તો તે લોકશાહી પર ધબ્બો ગણાશે.
રાજ્યસભાની કાર્યવાહી બેમુદત મુલતવી રાખવાની જાહેરાત
ADVERTISEMENT
કોરોના રોગચાળાને કારણે આઠ દિવસ આગોતરા ચોમાસુ સત્ર પર પૂર્ણવિરામ
રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવાની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. સામાન્ય રીતે સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ મહિનાના મધ્ય ભાગમાં શરૂ થતું હોય છે. પરંતુ રોગચાળાને કારણે આ વખતે 14 સપ્ટેમ્બરે શરૂ થયું હતું. માંડ દસેક દિવસ કામ કર્યા પછી ગઈ કાલે રાજ્યસભાની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી. રાજ્યસભાનું સત્ર 1 ઑક્ટોબર સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રોગચાળાને કારણે આઠ દિવસ વહેલા સમેટી લેવામાં આવી હતી. ગઈ કાલે રાજ્યસભામાં દિવસની કાર્યવાહીના ભાગરૂપે શ્રમિકો સંબંધી ત્રણ ખરડા, જમ્મુ ઍન્ડ કાશ્મીર લૅન્ગ્વેજિસ બિલ, બાઇલેટરલ નેટિંગ ઑફ ક્વૉલિફાઇડ ફાઇનૅન્શિયલ કૉન્ટ્રૅક્ટ્સ બિલ તથા એફસીઆરએ અમેન્ડમેન્ટ બિલ વૉઇસ વોટથી પસાર કરવામાં આવ્યા હતા.
કૃષિ ખરડા પસાર કરવા સામે ધાંધલ કરનારા આઠ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવા, વિપક્ષી સભ્યોના વર્તનના વિરોધમાં રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશજીના ઉપવાસ અને કૉન્ગ્રેસી, સમાજવાદી તથા ડાબેરી પક્ષોએ કરેલા બહિષ્કાર વચ્ચે મંગળવારે સાડાત્રણ કલાકમાં મહત્ત્વના સાત ખરડા પસાર કરવા જેવી અનેક નોંધપાત્ર ઘટનાઓ ચોમાસુ સત્રમાં બની હતી. ગઈ કાલે સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભાની કાર્યવાહી વધુ સૂચના ન અપાય ત્યાં સુધી મુલતવી રાખવાની જાહેરાત સંસદના ઉપલા ગૃહમાં કરી હતી. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આ સત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં કામગીરી કરાઈ એ માટે સંસસસભ્યોને અભિનંદન આપું છું. દસ દિવસોમાં પચીસ ખરડા પસાર કરાયા અને છ ખરડા રજૂ કરાયા છે. એકંદરે ઉપલબ્ધ 38 કલાક 30 મિનિટોના સમયની સામે 38 કલાક 41 મિનિટની કાર્યદક્ષતા સાથે ગૃહના સભ્યોએ 104.7 ટકા ઉત્પાદકતા-પ્રોડક્ટિવિટી દાખવી છે.’