પારિવારિક ઝઘડામાં માત્ર ૧૭ દિવસના માસૂમ છોકરાનું શિશ્ન કાપી નાખ્યું
સંવેદનશીલ માણસનું હૈયું હચમચી ઊઠે એવી એક ઘટના રાજસ્થાનમાં બની છે. પારિવારિક ઝઘડામાં ૧૭ દિવસની વયના એક માસૂમ છોકરાનું શિશ્ન કાપી નાખવામાં આવ્યું હતું. હવે ડૉકટરો કહે છે કે તે બાળક પાંચ વર્ષની વયનું નહીં થાય ત્યાં સુધી તેના પર કોઈ સર્જરી નહીં થઈ શકે. આ ઘૃણાસ્પદ કિસ્સાની વિગત આપતાં તે છોકરાના પિતા અખિલ જૈને જણાવ્યું હતું કે તેમના પરિવારમાં એક વિવાદ ચાલી રહ્યો છે. એ વિવાદમાં છોકરાના પિતાનું દામ્પત્ય જીવન બરબાદ કરી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. છોકરાનું શિશ્ન કાપનારની તત્કાળ ધરપકડની માગણી અખિલ જૈને કરી છે.
ADVERTISEMENT
જોકે જયપુર (ઈસ્ટ)ના નાયબ પોલીસ ચીફ કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું હતું કે અખિલ જૈને આ વિશે અજાણ્યા લોકો સામે ૨૮ નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં તપાસ વિના કોઈ પગલાં ન લઈ શકાય, કારણ કે આ અત્યંત સંવેદનશીલ મામલો છે. પોલીસ આ કિસ્સાની ભારે સાવધાની સાથે તપાસ કરી રહી છે. પોલીસને અખિલ જૈનના પરિવારના સભ્યો પર જ શંકા છે.
અખિલ જૈન ૨૭ નવેમ્બરે બાંસવાડામાં આવેલી તેમની ઑફિસમાં કામસર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ અખિલ જૈનને તેમનાં પત્નીએ કરી હતી. અખિલ જૈનના જણાવ્યા અનુસાર ‘મારાં પત્ની સવારે સાત વાગ્યે સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. એટલે મારાં પત્ની અને મારા પિતા ઓરડામાં બાળક પાસે પહોંચ્યાં ત્યારે બાળકનો પ્રાઇવેટ પાર્ટ કોઈએ કાપી નાખ્યો હોવાની જાણ થઈ હતી.’
લોહીથી લથબથ બાળકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં બાળકને બે દિવસ સર્જિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખ્યા પછી અખિલ જૈનના પરિવારને ડૉકટરોએ જણાવ્યું હતું કે છોકરો પાંચ વર્ષનો નહીં થાય ત્યાં સુધી તેના પર સર્જરી કરી નહીં શકાય. જયપુરની હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ચીફ ડૉ. જી. એસ. કાલરાએ કહ્યું હતું કે ‘છોકરાની સર્જરીમાં પાંચેક કલાકનો સમય લાગી શકે છે. પાંચ કલાક સુધી આટલા નાના બાળકને બેભાન રાખવા માટે ઍનેસ્થેસિયા
આપી ન શકાય.’