ટર્કીએ નિકાસ અટકાવતાં કાંદાના ભાવ હજી વધવાની શક્યતા
ટર્કીએ પોતાના કાંદાની ભારતમાં થતી નિકાસ કોઈ અકળ કારણથી અટકાવતાં કાંદાના ભાવ અત્યારે છે એના કરતાં પણ વધવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે કાંદા સરેરાશ સોથી દોઢસોના ભાવે જુદા-જુદા સ્થળે વેચાય છે. ભારત સરકારે આમ આદમીને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે કાંદાની જથ્થાબંધ આયાત કરી રહ્યા છીએ એટલે ટૂંક સમયમાં કાંદાના ભાવ ઘટી જશે.
પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ટર્કીએ ભારત તરફ આવતા કાંદાની નિકાસ અટકાવી દીધી હતી. કાંદાના વેપારીઓ માને છે કે હાલમાં જે ભાવ પ્રવર્તે છે એના કરતાં ૧૫ ટકા વધુ ભાવ થવાની શક્યતા છે. આમ કાંદા હજી થોડો સમય તો ગૃહિણીઓને રડાવશે.
એક રિપોર્ટ મુજબ અત્યારે દેશના વિવિધ વિસ્તારોમાં મળીને ૭૯૦ ટન આયાતી કાંદા ઉપલબ્ધ છે. (એક ટન એટલે એક હજાર કિલો.) પાટનગર દિલ્હીમાં પચાસ ટન આયાતી કાંદા પહોંચ્યા હતા. આજે સવારે ઠેકઠેકાણે લોકો સરેરાશ ૧૨૦થી ૧૪૦ રૂપિયે કિલોના હિસાબે કાંદા ખરીદવા સ્ટોર્સ પર લાઇન લગાવીને ઊભા હતા.
ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલની પહેલીથી આજ સુધીમાં આપણે કુલ ૭૦૭૦ ટન કાંદા આયાત કર્યા હતા. એમાં અડધોઅડધ કાંદા ટર્કીના હતા. ટર્કી અને મિસર બે દેશના કાંદા આપણે આયાત કરીએ છીએ.