વન્દે માતરમ્ ન બોલનાર દેશની બહાર જાય : કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગી
કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતાપ સારંગી સુરતની મુલાકાતે આવ્યા છે. સારંગીએ ચેમ્બરના એક કાર્યક્રમમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે સીએએની જરૂર ૭૦ વર્ષ અગાઉ હતી, પણ નેહરુએ એ કર્યું નહીં. કૉન્ગ્રેસના પાપનું પ્રાયશ્ચિત વર્તમાન સરકાર કરતી હોવાનું જણાવી નિર્ભયાના દોષીઓને ફાંસી મળવી જોઈએ એમ કહ્યું હતું. વન્દે માતરમ્ ન બોલી શકનારા તમામ લોકોએ દેશની બહાર જતા રહેવું જોઈએ. સાથે જ મોદી અને શાહની પ્રશંસા કરતાં તેમને કૃષ્ણ અને સોમનાથ મહાદેવ સાથે સરખામણી કરી હતી.
ભારત સરકારના ઍનિમલ હસબન્ડરી અને ફિશરીઝ તથા માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇસિસના રાજ્ય કક્ષાના પ્રધાન સારંગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદીના આવ્યા બાદ દેશની પ્રગતિ થઈ છે. સચિવાલયમાં અધિકારી હવે ૯ વાગ્યે આવે છે. મોદી તમામ પ્રધાનો પાસે રીવ્યુ લે છે. કામ કરવાની ક્ષમતા મોદી પાસે છે. એમએસએમઈ સેક્ટરમાં ભારત ચીન અને બંગલા દેશથી પાછળ છે. વીજળી અને પાણીનું બિલ ઝીરો આવવાથી દેશનો વિકાસ નહીં થાય.