પુત્રને ઘરમાંથી કાઢી મૂકવા માટે વૃદ્ધ પિતાએ, સાબિતી આપવાની જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
સંતાનો જ્યારે વૃદ્ધ માતા-પિતાની કાળજી નથી રાખતાં અને હેરાન કરે છે ત્યારે નાછૂટકે વડીલો કોર્ટનો સહારો લેતા હોય છે. તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે પિતા-પુત્ર વચ્ચે સંપત્તિના વિવાદના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પિતાને તેના પુત્ર કે પુત્રી કે અન્ય કોઈ કાયદેસરના વારસદારને જ્યારે ઇચ્છે ત્યારે ઘરની બહાર કાઢી મૂકવાનો હક આપ્યો છે. સંપત્તિ ચાહે વારસાગત હોય કે સ્વઅર્જિત, વૃદ્ધ પિતાએ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે કે ખર્ચ માટે પૈસા આપવામાં નથી આવતા એ સાબિત કરવાની જરૂર નથી. ૨૦૦૯માં ઘડાયેલો આ કાયદો પુત્રને માત્ર દંડ કરવા સુધી સીમિત નથી. જો એ પુરવાર થાય કે સંતાનોનો માતા-પિતાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી અને તેઓ સંતાનો સાથે રહેવા નથી ઇચ્છતાં તો કોર્ટ સંતાનને ઘર છોડવાનો આદેશ આપી શકે છે. પૈતૃક સંપત્તિ હોય અને પિતા પણ એમાં એક હિસ્સેદાર હોય તો પણ પિતાને તેના પુત્રને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર છે આ માટે તેણે પુત્રના દુર્વ્યવહારને સાબિત કરવાની આવશ્યકતા નથી. આશા છે કે આવા ચુકાદાથી પોતાના જ પેટના જણ્યાના દુર્વ્યવહારથી પીડિત વૃદ્ધોની સમસ્યા થોડી હળવી થશે.