વારાણસીમાં પ્રદૂષણથી બચાવવા મૂર્તિને પણ માસ્ક પહેરાવાયાં
વારાણસીમાં ભગવાનને પહેરાવાયા માસ્ક
દિલ્હીમાં હવાના પ્રદૂષણને લીધે મુખ્ય પ્રધાન ખુદ લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર જવાની સલાહ આપી રહ્યા છે. જોકે ઉત્તર પ્રદેશના અન્ય શહેરોમાં પણ એવી જ હાલત છે. હાલમાં વારાણસીમાં ભગવાનની મૂર્તિને પણ માસ્ક પહેરાવવામાં આવ્યો છે. જ્યારે ખૂબ ઠંડી હોય છે ત્યારે પૂજારી અહીં મૂર્તિને સ્વેટર પણ પહેરાવે છે. કાશી વિદ્યાપીઠ પાસે આવેલા શિવ-પાર્વતીના મંદિરના પૂજારી અને અમુક ભક્તોએ મૂર્તિઓને માસ્ક પહેરાવ્યા છે. અહીં લોકો ભગવાનને પણ એક માણસના સ્વરૂપે જુએ છે. ગરમીમાં ભગવાનને ચંદનનો લેપ લગાવાય છે અને ઠંડીમાં સ્વેટર પહેરાવાય છે. જોકે હાલમાં પ્રદૂષણની અસર પણ ભગવાનને થતી હશે એમ માનીને પૂજારીઓએ માસ્ક પણ પહેરાવ્યો છે.