લગ્નના ફેરા ફરતી વખતે નવદંપતી નાચ્યું અને ઇન્ટરનેટ પર થયો વિવાદ
લગ્નના ફેરા ફરતી વખતે નવદંપતી નાચ્યું
લગ્નમાં ચોરીમાં ફેરા ફરતી વખતે ડાન્સ કરી રહેલાં વરરાજા-નવવધૂના વિડિયો વિશે સોશ્યલ મીડિયા પર મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. બિરલા પ્રિસિઝન ટેક્નૉલૉજીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર વેદાંત બિરલાએ ટ્વિટર પર ૨૭ સેકન્ડની વિડિયો-ક્લિપ શૅર કરીને પરંપરાનો અનાદર કરવા બદલ નવદંપતીની ઝાટકણી કાઢી હતી. ‘યે શાદી હૈ યા સંસ્કારોં કી આહુતિ? યે મત ભૂલિયે કિ આપ દુનિયા મેં પૂજનીય હૈં, તો કેવલ આપકી સંસ્કૃતિ ઔર સંસ્કારોં કી વજહ સે’ એમ વેદાંત બિરલાએ હિન્દીમાં જણાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોમાં દેખાતા નવદંપતીની મોટા ભાગના યુઝર્સે ટીકા કરી હતી, તો અન્ય કેટલાક લોકો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. કેટલાક યુઝર્સે આને માટે હિન્દી ફિલ્મઉદ્યોગને જવાબદાર ઠેરવતાં કમેન્ટ કરી હતી કે બૉલીવુડે ભારતીય લગ્નપ્રથાનો નાશ કર્યો છે. દયનીય. નવવધૂ નાચી રહી છે. આ આપણી સંસ્કૃતિ નથી એવી કમેન્ટ એક યુઝરે કરી હતી. તો અન્ય એક કમેન્ટ હતી કે બે વ્યક્તિ તેમના જીવનના આ મહત્ત્વના દિવસને યાદગાર બનાવી રહી છે ત્યારે સમાજનો મોટો વર્ગ એની સામે નારાજ છે.