ટૅટૂ દ્વારા હસ્તરેખા બદલી નાખો તો નસીબ પણ બદલાઈ જશે
હથેળી પર ટૅટૂ
કહે છે કે નસીબમાં જે હશે એ જ થશે, ચિંતા કરવાથી કશું નથી વળતું. હથેળીમાં રેખાઓ જોઈને ભવિષ્ય ભાખતા લોકો તો અનેક હોય છે, પણ થાઇલૅન્ડમાં એક બિઝનેસમૅને હથેળીની રેખાઓને બદલવાનો ધંધો શરૂ કર્યો છે. થાઇલૅન્ડમાં એક એન્ટ્રપિન્યૉરનું કહેવું છે કે હાથમાંથી રેખાઓ બદલી નાખવાથી નસીબ પણ બદલી શકાય છે. હસ્તરેખાઓ બદલવા માટે આ બિઝનેસમૅને ટૅટૂનો ઉપયોગ કર્યો છે. થાઇલૅન્ડમાં નોન્થાબુરી નામની ટૅટૂ શૉપમાં હસ્તરેખા બદલીને આપવામાં આવે છે જેથી તમે જ્યારે એ બદલાવ પછી જ્યોતિષ પાસે જાઓ ત્યારે એ તમને તમે ઇચ્છો છો એવું ભવિષ્ય ભાખી આપે. તમારે ધનની રેખા જોઈતી હોય કે પ્રેમની, એ મુજબનું ટૅટૂ હાથની હથેળીમાં ચિતરી લેવાથી તમારા નસીબ આડેથી પાંદડું હટી જઈ શકે છે એવું આ શૉપના માલિકોનું કહેવું છે. ઍજર્ન પ્લી નામની મહિલાએ આ શૉપની શરૂઆત કરી છે. પહેલાં તે આઇબ્રો ટૅટૂ અને કૉસ્મેટિક ટૅટૂ બનાવી આપતી હતી, પણ પછી તેને જેવી જ્યોતિષશાસ્ત્રની સમજણ પડવા લાગી કે તેણે આ નવા પ્રકારની ભવિષ્યને પોતાની મરજી મુજબ ઘડતી હસ્તરેખાઓના ટૅટૂ બનાવવાનો નવો કોન્સેપ્ટ લૉન્ચ કર્યો છે. નવાઈની વાત એ છે કે રાતોરાત નસીબ ચમકી જવાની આશાએ તેને ત્યાં ગ્રાહકોની કોઈ કમી નથી રહી.