પ્રિન્સિપાલે પાણીની અછતના કારણે સ્કૂલની 150 વિદ્યાર્થિનીઓના વાળ કપાવ્યા
વિદ્યાર્થીઓ
તેલંગણાના મેંઢકની એક આદિવાસી સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની છે. સ્કૂલની ૧૫૦ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં પાણીની અછતના કારણે વાળ કપાવી નાખવા માટે મજબૂર કરવામાં આવી છે. આ ઘટના એક ગુરુકૂળની છે, જ્યાંના પ્રિન્સિપાલ કે. અરુણાએ જબરદસ્તી ૧૫૦ વિદ્યાર્થિનીઓના વાળ કપાવી નાખ્યા.
તેમણે નાહવા માટે પૂરતું પાણી ન હોવાના કારણે આ પગલું ભર્યું. પ્રિન્સિપાલના આ નિર્ણય બાદ સ્કૂલમાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઘટના બે દિવસ પહેલાં ઘટી પરંતુ મંગળવારે આ ઘટના સામે આવી જ્યારે વિદ્યાર્થિનીઓનાં માતા-પિતા રવિવારે ગુરુકૂળમાં પોતાના સંતાનને મળવા આવ્યાં.
ADVERTISEMENT
એક અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલના પ્રિન્સિપાલ કે. અરુણાએ કથિતરૂપે બે વાળંદને હોસ્ટેલમાં બોલાવ્યા, એ બાદ તેમણે વિદ્યાર્થિનીઓને ૨૫ રૂપિયા આપવા માટે મજબૂર કરી.
આ પણ વાંચો : આત્મહત્યા કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે 20 વર્ષ બાદ ડૉક્ટરોએ પેટમાંથી કાઢ્યું
આ સમગ્ર ઘટના બાદ વાલીઓએ પ્રિન્સિપાલ વિરુદ્ધ સ્કૂલની બહાર પ્રદર્શન કર્યું. જો કે કે. અરુણાએ તમામ આરોપોને નકારી કાઢ્યા અને જણાવ્યું કે, સફાઈ માટે વિદ્યાર્થિનીઓના વાળ કપાવી નાખ્યા કારણ કે કેટલીક વિદ્યાર્થિનીઓ ચામડીના રોગથી પીડિત હતી. તેમણે જણાવ્યું કે વાળ વિદ્યાર્થિનીઓની સહમતીથી કપાવવામાં આવ્યા છે અને હોસ્ટેલમાં પાણીની અછત પણ તેની પાછળનું કારણ છે. આ વચ્ચે જિલ્લા પ્રશાસન અને કલ્યાણ વિભાગે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.