દુકાનથી ખરીદી કર્યા પછી 24 કલાકમાં કોરોના થાય તો આટલા રૂપિયાનું કૅશ બૅક
દુકાન
કેરળના કોટ્ટાયમમાં ઇલેક્ટ્રૉનિક સાધનોના એક દુકાનદારે ગ્રાહકોને આકર્ષવા માટે એવી જાહેરાત કરી કે અમારી દુકાનમાંથી ખરીદી કર્યા પછી ચોવીસ કલાકમાં કોરોના ઇન્ફેક્શન લાગે તો ૫૦,૦૦૦ રૂપિયા કૅશ બૅક આપીશું. જોકે પચાસ હજાર રૂપિયા આપવાની ઍડ્વર્ટાઇઝમેન્ટ આપીને દુકાનદાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ૧૫ ઑગસ્ટથી ૩૦ ઑગસ્ટ સુધીના ગાળા માટેની ઑફરની જાહેરાત ઇલેક્ટ્રૉનિક, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં પ્રસિદ્ધ થયા પછી એ દુકાનમાં લોકોનો ધસારો વધવા માંડ્યો હતો.
એ ઍડ્વર્ટાઇઝમેન્ટ કોટ્ટાયમની પાલા નગરપાલિકાના નગરસેવક અને વકીલ બિનુ પુલિક્કાકંદમના ધ્યાનમાં આવી હતી. બિનુએ એ ઍડ્વર્ટાઇઝમેન્ટ ગેરકાયદેસર પ્રકારની હોવાનું જણાવતો પત્ર મુખ્ય પ્રધાનને લખ્યો હતો. બિનુનું કહેવું હતું કે આવી જાહેરાતથી કૅશ બૅકની લાલચે કોઈ કોરોના પૉઝિટિવ દરદી દુકાનમાં પહોંચી જાય તો અન્ય ગ્રાહકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ જાય. બિનુનો પત્ર મુખ્ય પ્રધાનની કચેરીમાં પહોંચે એ પહેલાં સ્થાનિક પોલીસે એ દુકાન બંધ કરાવી છે.