મોં પર 60,000થી વધુ મધમાખીઓ ચોંટ્યા પછી માણસ શ્વાસ કેવી રીતે લઈ શકશે?
જો એક મધમાખી પણ ભૂલથી હાથ કે મોં પર કરડી જાય તો બે દિવસ સુધી દડા જેવા હાથ-મોં થઈ જાય, પણ મધમાખી ઉછેર કરતા લોકો માટે દોથો ભરીને મધમાખીઓ ઉપાડી લેવાનું સરળ છે. કેરલામાં રહેતા ૨૪ વર્ષના નેચર એમએસ નામના મધમાખી ઉછેરક યુવકને તેની પાળેલી મધમાખીઓ પર એટલો વિશ્વાસ છે કે તે પોતાનું મોં આખું ઢંકાઈ જાય એ રીતે મધમાખીઓની ચાદર ઓઢી લે છે.
આ સ્ટન્ટ તેણે કંઈ પહેલી વાર કર્યો હોય એવું નથી. ભાઈસાહેબ સાત વર્ષના હતા ત્યારથી પાળેલી મધમાખીઓને પોતાના શરીર પર ચોંટવા અને ચાદરની જેમ પથરાવા દેવાનું સાહસ કરતા હતા. ઇન ફૅક્ટ, થોડાક વર્ષો પહેલાં તેણે મધમાખીઓની ચાદર મોં પર ચાર કલાક, દસ મિનિટ અને પાંચ સેકન્ડ સુધી રાખી મૂકવાનો ગિનેસ વલ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો છે. આ સ્ટન્ટ માટે તે એક રાણી માખીને મોં પર બેસાડે છે અને પછી પંદર મિનિટમાં તો મધમાખીઓનું ઝૂંડ આવીને એવી રીતે ચોંટી જાય છે જાણે મોં નહીં મધપૂડો હોય.