બે મહિનાથી ખાંસતા રહેતા ભાઈના ગળામાંથી જીવતી જળો નીકળી
આ ભાઈના ગળામાંથી નીકળી જળો
બીમારીમાં ડૉક્ટરની સલાહ ક્યારે લેવી એ વિશે દરેક વ્યક્તિનો પોતપોતાનો મત હોય છે, પણ એક ચોક્કસ તબક્કે ડૉક્ટરની સલાહ લેવાનો નિર્ણય લેવો જરૂરી બની જાય છે. દક્ષિણ ચીનના ફ્યુજિયાન પ્રાંતમાં આવેલી એક હૉસ્પિટલમાં બે મહિનાથી સતત અવિરત ખાંસી ખાઈ રહેલા એક માણસનો અજીબોગરીબ કેસ આવ્યો હતો. આ ભાઈએ સતત બે મહિના ખાંસી આવવાની વાતને ત્યાં સુધી ગંભીરતાથી નહોતી લીધી જ્યાં સુધી ખાંસીમાં કફ સાથે લોહી ન દેખાયું.
ડૉક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યા બાદ શરૂઆતમાં ડૉક્ટરોએ સીટીસ્કૅન કરાવવા કહ્યું, પણ એમાં કાંઈ સ્પષ્ટ ન થતાં વધુ આક્રમક માર્ગ અપનાવીને ગળાની અંદરના પૅસેજમાં એક નાના કૅમેરાની મદદથી પરીક્ષણ કરી શકાય એ માટે બ્રૉન્કોસ્કોપી કરાવવાનો નિર્ણય લીધો. બ્રૉન્કોસ્કોપીનું જે રિઝલ્ટ આવ્યું એ સાચે જ ચોંકાવનારું હતું. ગળામાં બે જળો ચોંટેલી જોવા મળી હતી. ત્રણ સેન્ટિમીટરની લંબાઈ ધરાવતી એક જળો ગ્લોટિસ (કંઠસ્થાનનો ભાગ જ્યાં અવાજના તાર હોય છે) પાસે અને બીજી જમણા નસકોરામાં ચોંટેલી હતી.
સ્વાભાવિક રીતે આ ભાઈને ખબર નહોતી કે જળો તેના શરીરમાં કઈ રીતે પ્રવેશી, પણ ડૉક્ટરોનું માનવું છે કે પહાડો પરનાં ઝરણાંમાંથી પાણી પીતી વખતે આ જળો તેના શરીરમાં પ્રવેશી ગઈ હશે. એ વખતે આ જળો એટલી નાની હશે કે નરી આંખે દેખાઈ નહીં હોય અને પછીથી બે મહિના સુધી પેશન્ટના ગળામાં બેસીને લોહી પીને એનો વિકાસ થયો હશે.
ડૉક્ટરોએ પેશન્ટના ગળામાંથી ચીપિયાની મદદથી જીવતી જળોને કાઢતાં પહેલાં તેને એનેસ્થેશિયા આપવું પડ્યું હતું. હવે પેશન્ટની તબિયત સુધારા પર છે.