ક્રૅકર્સ જ નહીં, ક્રાઉડ પણ દિવાળી બગાડી શકે છે
ક્રૅકર્સ જ નહીં, ક્રાઉડ પણ દિવાળી બગાડી શકે છે
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે, પણ હેલ્થ-એક્સપર્ટ્સનું માનવું છે કે આ બંધી આખા રાજ્યમાં લાગુ કરવી જોઈએ. તેમને બીજી ચિંતા એ છે કે હાલમાં જે રીતે દિવાળીની ખરીદી કરવા માટે લોકોની ભીડ થઈ રહી છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું એ જોતાં દિવાળી પછી એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે એને નિયંત્રણમાં લેવાનું ભારે પડી શકે છે.
પાલિકાએ ૩૦ નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે એમાં માત્ર ૧૪ નવેમ્બરે એક દિવસની છૂટ આપવામાં આવી છે. એ સિવાય લોકોને ફટાકડા ફોડતી વખતે અને દીવડા પ્રગટાવતી વખતે સૅનિટાઇઝર (જે અતિ જ્વલનશીલ છે)નો ઉપયોગ ન કરવાનું અને ફટાકડાથી દૂર રાખવાનું કહેવાયું છે. પાલિકાએ મોટી ક્લબોને પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ફટાકડા ફોડવાને કારણે હાલમાં કોરાનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય પર એની કેવી અવળી અસર પડશે એ વિશે ડૉક્ટર સુભાષ હીરા ચિંતિત છે. ડૉ. દુભાષ હીરા યુએસએની યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટન-સીએટલના હેલ્થ ગ્લોબલના પ્રોફેસર, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના હેડક્વાર્ટરના ભૂતપૂર્વ હેલ્થ સ્પેશ્યલિસ્ટ અને હાલમાં યુનાઇટેડ નેશન્સ, ભારતીય અને સાઉથ આફ્રિકાની અનેક સંસ્થામાં હેલ્થ-ઍડ્વાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે.
ડૉ. સુભાષ હીરાએ ‘મિડ-ડે’ને કહ્યું છે કે ‘ગઈ કાલે દિલ્હીમાં કોવિડ-19ના કેસ બમણા થઈ જતાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાયેલા અમારા અંદા દિલ્હીમાં સાચો ઠર્યા છે. એવો જ ટ્રેન્ડ મુંબઈમાં પણ જોવા મળ્યો છે. ઑક્ટોબરના અંતમાં રોજના ૮૦૦થી વધુ કેસ આવી રહ્યા હતા જે રવિવારે એક જ દિવસમાં ૯૯૮ નોંધાયા છે. જોકે મુંબઈમાં દિલ્હીની સરખામણીએ શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછુ હોય છે જેને કારણે થોડું ઓછું નુકસાન થશે. એમાં પણ ફટાકડા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે હવામાં પ્રદૂષણ ઓછું ફેલાશે. હવે જ્યારે દિવાળીને આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે કોવિડના દરદીઓની સંખ્યા ન વધે એ માટે પ્રશાસને ફટાકડા ફોડનારાઓ પર ચાંપતી નજર રાખવા પોલીસ-પૅટ્રોલિંગ વધારવું જોઈએ અને ડ્રૉનની મદદ લેવી જોઈએ.’