ભાંડુપમાં ૯ અને ૧૦ ડિસેમ્બરે પાણીકાપ
પ્રતીકાત્મક તસવીર
તાનસા જળાશયમાંથી શહેરમાં પાણી લાવતી બ્રિટિશકાળની પાઇપલાઇનના લગભગ ૪ કિલોમીટરના પટ્ટાનું બીએમસી રિપેરિંગ હાથ ધરવાની હોવાથી આવતા બુધવારે અને ગુરુવારે એટલે કે ૯ અને ૧૦ ડિસેમ્બરે ભાંડુપના અનેક વિસ્તારોને પાણી નહીં મળી શકે. બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારની પાઇપલાઇન ૧૮૦૦ મિલીમીટરની છે, જે બદલીને હવે ૨૪૦૦ મિલીમીટરની પાઇપલાઇન નાખવામાં આવશે.
આ પ્રક્રિયાને કારણે અંધેરી (ઈસ્ટ) અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની વચ્ચે તથા કુર્લા, દાદર અને ધારાવી જેવા વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું રહેશે. બીએમસીએ સંબંધિત વિસ્તારના લોકોને આગળના દિવસોમાં પાણીનો સંગ્રહ કરવા તેમ જ એનો જતનપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
ભાંડુપમાં ડક લેન, રાજારામવાડી, શ્રીરામપાડા, ખિંડીપાડા, ટેંભીપાડા, સોનાપુર, તુલશેતપાડા, પ્રતાપનગર, જમીલનગર, સમર્થનગર, સુભાષનગર, દ્રક્ષાબાગ, ઉત્કર્ષનગર, રાજદીપનગર, નાહુર (વેસ્ટ) અને ભાંડુપ (વેસ્ટ)માં ૨૪ કલાકથી વધુ સમય પાણી નહીં મળી શકે એમ બીએમસીના અધિકારીઓએ કહ્યું હતું.
આ જ પ્રકારે લાલ બહાદુર શાસ્ત્રી રોડ, જયભીમનગર, બેસ્ટનગર, આરે માર્ગ અને આસપાસના વિસ્તારો, ફિલ્ટરપાડા, મૅન્ગો ફિલિંગ, રાવતે કમ્પાઉન્ડ, રામનગર, પાસપોલી વિલેજ, મોરારજીનગર, ગાંવદેવી હિલ અને સર્વોદયનગરમાં પણ પાણી નહીં મળે.
આ સિવાય નજીકના અંધેરી (ઈસ્ટ), વિલે પાર્લે (ઈસ્ટ), સાંતાક્રુઝ (ઈસ્ટ), ખાર (ઈસ્ટ) અને બાંદરા (ઈસ્ટ) સહિત કુર્લા, દાદર, માહિમ અને ધારાવીમાં આ બે દિવસ દરમ્યાન પાણીકાપ રહેશે.