૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી નહીં ખેંચાય
નવી ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે એવી અફવાને ફગાવતાં કેન્દ્ર સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ યોજના નથી.
કેન્દ્રના ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘અમે બનાવટી કરન્સી જપ્ત કરી રહ્યા છીએ. માર્કેટમાંની અફવાને સંબંધ છે ત્યાં સુધી આપણે અફવા પર ભરોસો કરવો ન જોઈએ.’
સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચશે એવી જોરદાર અફવા માર્કેટમાં ચાલી રહી હોવાથી સરકાર આવો કોઈ નિર્ણય કરવાની છે કે કેમ એવા કૉન્ગ્રેસના મધુસૂદન મિસ્ત્રીએ પ્રશ્નકાળમાં પૂછેલા સવાલનો જવાબ આપતાં કિરેન રિજિજુએ ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી.
કિરેન રિજિજુના જણાવ્યા અનુસાર મોટા ભાગની બનાવટી નોટો ગુજરાત અને બેન્ગૉલમાંથી જપ્ત કરવામાં આવી છે, પણ બનાવટી કરન્સીને પારખવી શક્ય નથી એમ કહેવું ખોટું છે. નોટબંધી પછી બજારમાં આવેલી બનાવટી નોટો હલકી ક્વૉલિટીના કાગળમાંથી બનાવવામાં આવી હતી એટલે એની પરખ આસાન હતી, પણ પછીથી સારી ક્વૉલિટીના કાગળ પર છાપવામાં આવેલી બનાવટી નોટો માર્કેટમાં આવવા લાગી હતી.