રામમંદિરના નિર્માણને કોઈ રોકી નહીં શકે : રાજનાથ સિંહ
રાજનાથ સિંહ
(જી.એન.એસ.) સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસમાં ચુકાદો આવ્યા બાદ રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. ઝારખંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ પછી હવે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ચૂંટણીની જાહેર સભા સંબોધતાં રામમંદિરને લઈને મહત્ત્વની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે ‘અમે ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચન મુજબ હવે રામલલ્લાની જન્મભૂમિ (અયોધ્યા) પર ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. કેટલાક પક્ષો આ વચન પર મજાક ઉડાડતા હતા, પરંતુ હવે ગગનચુંબી મંદિર બનતા કોઈ નહીં રોકી શકે.’ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે ‘અમે દેશના દરેક રાજ્યમાં એનઆરસી લાગુ કરીશું.
દરેક ભારતીયને એ જાણવાનો અધિકાર છે કે તેની જમીન પર કોણ ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યું છે. કેટલાક પક્ષોને તો આમાં પણ અમારી ભૂલ જણાઈ રહી છે, એ લોકોને અમે સાંપ્રદાયિક લાગી રહ્યા છીએ.’ રાજનાથે વધુમાં ઉમેર્યું કે ‘ઝારખંડમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી પૂર્ણ બહુમતી સાથે સરકાર રચશે. બીજેપીના વડા પ્રધાન, પ્રધાન કે મુખ્ય પ્રધાન પર ભ્રષ્ટ હોવા મામલે કોઈ પણ આંગળી ચીંધી શકે એમ નથી.