જનરલ પબ્લિકને લોકલમાં ટ્રેનમાં હજીય નો એન્ટ્રી જ
ફાઈલ તસવીર
મુંબઈની સબર્બન ટ્રેનોમાં તમામ સર્વસામાન્ય નાગરિકોને પ્રવાસની છૂટ વિશે મહારાષ્ટ્ર સરકાર તરફથી ટાઇમ ફ્રેમ સાથે કે ટાઇમ ફ્રેમ વગર કોઈ સૂચના પ્રાપ્ત થઈ ન હોવાનું રેલવેતંત્રે જણાવ્યું હતું. રેલવેતંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈગરાઓએ કોઈ અફવા પર વિશ્વાસ રાખવો ન જોઈએ અને લોકોએ રેલવે-સ્ટેશનો પર ધસારો નહીં કરીને રેલવેતંત્રને સહકાર આપવો જોઈએ. લોકોએ અટકળો બાંધવી ન જોઈએ અને અટકળોને મહત્ત્વ ન આપવું જોઈએ. લોકલ ટ્રેનો બાબતે કોઈ પણ નિર્ણય લેવાશે તો એ તરત જાહેર કરવામાં આવશે.’
રેલવેતંત્રના વરિષ્ઠ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારના અધિકારીએ પ્રસાર માધ્યમોના કેટલાક પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ‘સેકન્ડ શિફ્ટ અને નાઇટ શિફ્ટના કર્મચારીઓને સવારે ૧૦થી ૭ વાગ્યા સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવાની વિચારણા ચાલે છે. એ તેમની આંતરિક ચર્ચા અને આયોજનનો મુદ્દો હોઈ શકે છે, પરંતુ એવી કોઈ ઔપચારિક દરખાસ્ત રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થઈ નથી. એથી હાલમાં સૌને સબર્બન ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.’