મહાવિકાસ આઘાડીમાં કોઈ મતભેદો નથી : સંજય રાઉત
સંજય રાઉત
શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે મહારાષ્ટ્રના સત્તાધારી મોરચા મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં કોઈ મતભેદો નહીં હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. સંજય રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘તાજેતરમાં મુંબઈ શહેરના નાયબ પોલીસ-કમિશનરોની બદલીઓનો આદેશ ત્રણ દિવસોમાં પાછો ખેંચવા અને અહમદનગર જિલ્લાના પારનેર શહેરની નગરપાલિકાના શિવસેનાના પાંચ નગરસેવકો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાયા એ ઘટનાઓ શાસક મોરચા મહાવિકાસ આઘાડીમાં મતભેદો સૂચવતી નથી. આઘાડીના ઘટક પક્ષોમાં સમન્વયનો કે સૌહાર્દતાનો અભાવ નથી. અમારી વચ્ચે ઝઘડા પણ નથી.’
સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘અમારી ત્રણ મહત્વના પક્ષોની સરકાર છે. આ કોઈ ખીચડી સરકાર નથી. આ સરકાર પાંચ વર્ષની મુદત પૂરી કરશે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવાર પણ હાલની સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અનિલ દેશમુખ ગૃહપ્રધાન છે અને તેમણે રૂટીન વહીવટી કાર્યવાહીના ભાગરૂપે બદલીઓ રોકી છે. બદલીઓ રોકવાની આ પહેલી ઘટના નથી. મુંબઈના નાયબ પોલીસ-કમિશનરોની બદલીઓ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અંધારામાં રાખવામાં આવ્યા હોવાના આરોપો પણ ખોટા છે.’