નિર્ભયા ગૅન્ગરેપ: દોષીઓને ૧૬ ડિસેમ્બરે ફાંસી અપાય એવી શક્યતા
નિર્ભયા કેસના આરોપીઓ
નિર્ભયા ગૅન્ગરેપના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ૧૬ ડિસેમ્બરે તમામને ફાંસી આપવામાં આવી શકે છે. જે જગ્યા પર ફાંસી આપવાની છે ત્યાં સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે એક આરોપી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયા અરજીને ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની ડૉક્ટર સાથે ગૅન્ગરેપ બાદ તેને સળગાવીને હત્યા કરવાના મામલામાં ચાર આરોપીઓને ઠાર મરાયા બાદ નિર્ભયાના નરાધમોને ફાંસી આપવાની માગણી જોર પકડી રહી છે.
નિભર્યા ગૅન્ગરેપ મામલે છ આરોપીઓમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. બીજા બચ્યા ચાર આરોપીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પૅન્ડિંગ છે અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકી નથી. આશા છે કે ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ દયા અરજી પર નિર્ણય કરશે. જો નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને એની જવાબદારી સોંપવામાં આવશે. જોકે હજી સુધી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી સામે આવી નથી.