NIAની પુલવામા કેસની ચાર્જશીટમાં મસૂદ અઝહર સહિત 19 આરોપી
પુલવામા હુમલામાં એજન્સી દ્વારા 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મંગળવારે વિશેષ કોર્ટમાં જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના વડા મસૂદ અઝહર (Masood Azhar) સહિત 19 આરોપીના નામ સહિતની ચાર્જશીટ દાખલ કરી છે.
જૈશ-એ-મોહમ્મદ અને વડા મસૂદ અઝહર તેમ જ અન્ય સહાયકોએ 2019માં દક્ષિણ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. એનઆઈએએ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ અને આતંકવાદીઓના નિવેદન તેમજ વિવિધ કેસોમાં પકડાયેલા વોન્ટેડ આરોપીઓની વાતને આધારે પુલવામાં હુમલાનો કોયડો ઉકેલ્યો હતો.
ADVERTISEMENT
તપાસ એજન્સી દ્વારા 13,500 પાનાની પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પુલવામામાં હુમલાખોરને આશરો આપનાર તેમજ આદિલ દારનો હુમલા અગાઉનો વીડિયો શૂટ કરનાર સહિત તમામ લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આદિલ દાર સ્યુસાઈડ બોમ્બર હતો જેણે 200 કિલો વિસ્ફોટકો સાથેની કાર સીઆરપીએફના કોન્વોય સાથે અથડાવીને બ્લાસ્ટ કર્યો હતો.
આ કેસની તપાસ NIAના સંયુક્ત ડાયરેક્ટર અનિલ શુક્લાના નેતૃત્વમાં કરવામાં આવી હતી અને બ્લાસ્ટ માટે હાઈ-એન્ડ બેટરી, ફોન તેમજ કેટલાક કેમિકલ્સની ખરીદી માટે ઈકોમર્સ પ્લેટફોર્મનો પણ ઉપયોગ થયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. NIA દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મસૂદ અઝહર ઉપરાંત જે સાત આતંકવાદીઓના નામ ચાર્જશીટમાં છે તેમને વિવિધ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે જ્યારે ચાર હજી ફરાર છે. બે આતંકવાદીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં છે જે પૈકી એક સ્થાનિક છે જ્યારે બીજો પાકિસ્તાની નાગરિક છે.
મસૂદ અઝહરના બે સંબંધીઓ અબ્દુલા રઉફ તેમજ અમ્માર અલ્વીના નામ પણ ચાર્જશીટમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે સામેલ છે. જૈશના એક આતંકવાદી મોહમ્મદ ઉમર ફારૂકનો ભાણેજ જે સાંભા ખાતેની આંતરાષ્ટ્રીય સરહદેથી 2018માં કુદરતી ગુફાઓ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો તેનું મૃત્યું થયું છે.