યાસીન મલિકે પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યાં હતાં: એનઆઈએ
અલગાવવાદી નેતા યાસીન મલિક
જમ્મુ-કાશ્મીરના લિબ્રેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિક કથિત રીતે પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો. યાસીનને ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે ઇસ્લામાબાદથી નાણાં પણ મળ્યાં હતાં. એટલું જ નહીં આ નાણાંથી તેણે ૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ પણ ખરીદી છે. આ વાત રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ પોતાના રિપોર્ટમાં જણાવી છે.
એનઆઇએએ મલિક સહિત અન્ય અલગતાવાદીઓની વિરુદ્ધ ટેરર ફન્ડિંગ મામલે તપાસ કરી રહી છે. મલિકના વકીલ રજા તુફૈલે આ આક્ષેપોને વખોડ્યા છે. તુફૈલે જણાવ્યું હતું કે, આ બધું મલિકની છબિ ખરાબ કરાવવાની કવાયત છે. તેમણે અનેક પુરાવાની શોધ કરી પરંતુ તેમને સફળતા મળી નથી. તમે મલિકના ઘરે જશો તો તમને બધું ખબર પડી જશે. જેની પાસે આટલી બધી સંપત્તિ હોય તેની પાસે કાશ્મીરમાં ઓછામાં ઓછું ટુ બીએચકે તો હોવું જોઈએ.
ADVERTISEMENT
એનઆઇએએ ટેરર ફન્ડિંગ મામલે કાશ્મીરના બિઝનેસમૅન જહૂર એહમદ વટાલી અને અન્ય કેટલાક લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ તમામ પર હવાલા મારફતે પાકિસ્તાન પાસેથી નાણાં લેવાનો આરોપ છે. આમાં લશ્કર-એ-તોયબા જેવું આંતકી સંગઠન પણ સામેલ છે.
આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !
એનઆઇએએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, અકાઉન્ટ બુક દ્વારા જાણ થઈ છે કે વટાલીએ પાકિસ્તાન હાઇકમિશન, હાફિઝ સઇદ અને અન્ય પાસેથી નાણાં મેળવ્યાં છે. જપ્ત કરાયેલા અન્ય દસ્તાવેજ પરથી સામે આવ્યું છે કે જમ્મુ -કાશ્મીરમાં અલગતાદીઓને નાણાં આપવામાં આવ્યાં હતાં. નાણાં મેળવનારાઓમાં યાસીન મલિક પણ સામેલ છે.