ન્યુ ઝીલૅન્ડ હવે કોરોનાથી મુક્ત:૧૭ દિવસથી એક પણ કેસ નથી
ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જેસિંડા અર્ડર્ન અને હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ ન્યુ ઝીલૅન્ડ હવે સંક્રમણથી મુક્ત થયો છે. સોમવારે જેસિંડાએ કહ્યું, દેશમાં ૨૨ મે બાદ કોઈ કેસ પ્રકાશમાં આવ્યો નથી. હવે અમે બાકીના પ્રતિબંધો હટાવવા જઈ રહ્યા છે. દેશના લોકોનો આભાર, તેમણે મુશ્કેલ સમયમાં સરકારને સાથ આપ્યો. ન્યુ ઝીલૅન્ડમાં કુલ ૧૧૫૪ કેસ પ્રકાશમાં આવ્યા હતા, જ્યારે ૨૨ લોકોનાં મોત થયાં હતાં.
ન્યુ ઝીલૅન્ડની હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારે જણાવ્યું કે દેશમાં ૨૨ મે બાદ સંક્રમણનો કોઈ કેસ પ્રકાશમાં આવ્યો નથી. નિવેદન મુજબ દેશ હવે સંક્રમણથી મુક્ત થઈ ગયો છે. વડા પ્રધાન જેસિંડા અર્ડર્ને પણ મીડિયા સાથે વાતચીત કરી કહ્યું, દેશમાં હવે કોઈ એક્ટિવ કેસ નથી. અમે બાકીના પ્રતિબંધો પણ હટાવવા જઈ રહ્યા છે. આ ખૂબ જ મોટી સફળતા છે. દેશના લોકોનો તેમણે આભાર પણ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે સંક્રમણ શરૂ થતાંની સાથે જ ન્યુ ઝીલૅન્ડની સરકારે ૭૫ દિવસનું સખત લૉકડાઉન લાગુ કર્યું હતું. જો કે દેશની સીમા હજી પણ ખોલવામાં આવશે નહીં. ન્યુ ઝીલૅન્ડમાં કુલ ૧૧૫૪ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. ૨૨ લોકોનાં મોત થયાં હતાં. આંકડાઓ મુજબ દેશમાં કુલ ૨ લાખ ૯૪ હજાર ૮૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.