પાકિસ્તાન આર્મી અને ISIએ અલ કાયદાને ટ્રેઇનિંગ આપીઃ ઇમરાન ખાન
ઇમરાન ખાન
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને માન્યું કે ખૂનખાર આતંકી સંગઠન અલ કાયદાની ટ્રેઇનિંગ તેમના જ દેશમાં અપાઈ હતી. આ આતંકવાદ પર પાકિસ્તાનના સૌથી મોટા કબૂલનામાઓમાંથી એક છે. ઓસામા બિન લાદેનના નેતૃત્વવાળા આતંકવાદી સંગઠન અલ કાયદાએ ૯/૧૧ જેવા ખતરનાક આતંકવાદી વારદાતને અંજામ આપ્યો હતો.
અમેરિકન થિંક ટેન્ક કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સ (સીએફઆર)માં ઇમરાને કહ્યું કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પહેલાં અલ કાયદાના આતંકવાદીઓને પાકિસ્તાની આર્મી અને આઇએસઆઇએ ટ્રેનિંગ આપી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સરકારે ૯/૧૧ની વિનાશકારી વારદાત બાદ એ આતંકી ગ્રુપના પ્રત્યે પોતાની નીતિ બદલી નાખી, પરંતુ પાકિસ્તાન આર્મી બદલાવા માગતી નહોતી. ૯/૧૧ હુમલા બાદ અમેરિકાની પડખે ઊભું રહેવું અમારી સૌથી મોટી ભૂલ હતી. તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું.
ADVERTISEMENT
ઇમરાનને પૂછવામાં આવ્યું હતું કે અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનની એબટાબાદમાં હાજર અને યુએસ નેવી સીલ્સના હાથે મારનારની ઘટનાની પાકિસ્તાની સરકારે તપાસ કેમ ન કરાવી? તેના પર ઇમરાને કહ્યું કે અમે તપાસ કરી હતી, પરંતુ હું કહીશ કે પાકિસ્તાન આર્મી, આઇએસઆઇએ ૯/૧૧ પહેલાં અલ કાયદાને ટ્રેન્ડ કર્યું હતું. આથી હંમેશાં લિંક જોડાયેલી રહી. આર્મીમાં કેટલાય હોદ્દેદાર ૯/૧૧ પછી બદલાયેલી નીતિ સાથે સહમત થયા નહોતા.
આ પણ વાંચો : તમામ દેશોએ આતંકવાદ ખતમ કરવા વિશે ઈચ્છાશક્તિ દર્શાવવી પડશેઃ મોદી
ટ્રમ્પની તરફ ઇશારો કરતા ઇમરાને કહ્યું કે વર્લ્ડ લીડર એ નથી સમજતા કે પાકિસ્તાનમાં કટ્ટરતા કેવી રીતે આવી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ૧૯૮૦માં અમેરિકાની મદદથી સોવિયત સંઘ વિરુદ્ધ જેહાદ છેડી હતી. તેમણે કહ્યું કે અમેરિકાની મદદથી આઇએસઆઇએ દુનિયાભરના મુસ્લિમ દેશોના આતંકીઓને બોલાવીને ટ્રેઇનિંગ આપી જેથી કરીને તેઓ સોવિયત યુનિયનની વિરુદ્ધ જેહાદ કરી શકે. ઇમરાને કહ્યું કે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ રોનલ્ડ રેગને તેમને વૉશિંગ્ટન બોલાવ્યા અને તેમની શાનમાં વખાણ કર્યા હતા.
અલ કાયદા અને તેના ચીફ ઓસામા બિન લાદેન પર પાકિસ્તાન તરફથી છેલ્લા ત્રણ મહિનામાં આ બીજું સૌથી મોટું કબૂલનામું છે.