Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવી શિક્ષણ નીતિ માર્કશીટનું દબાણ નાબૂદ કરવા માટે ઘડાઈ છે : મોદી

નવી શિક્ષણ નીતિ માર્કશીટનું દબાણ નાબૂદ કરવા માટે ઘડાઈ છે : મોદી

12 September, 2020 02:54 PM IST | New Delhi
Agency

નવી શિક્ષણ નીતિ માર્કશીટનું દબાણ નાબૂદ કરવા માટે ઘડાઈ છે : મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


૨૦૨૨માં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય ત્યાર સુધીમાં નવી શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવાની જરૂરિયાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘માર્કશીટ અને ટકાવારી પ્રતિષ્ઠાના પ્રશ્નો બનતા હોવાથી વિદ્યાર્થીઓનું માનસિક દબાણ વધતું જાય છે. એ માનસિક દબાણ ઘટાડવાના ઇરાદે નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. નવો અભ્યાસક્રમ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે ઘડવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં ભણતર અને પાઠ્યપુસ્તકોનો બોજ ઘટશે અને શિક્ષણનો અનુભવ કંટાળા વગરનો પૂર્ણતાસભર બનશે.’

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘નવી શિક્ષણ નીતિમાં વિવેચનાત્મક વિચારશીલતા, સર્જનાત્મકતા, સંવાદપ્રધાનતા અને જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહન આપતા કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવશે. સરકારને નવી શિક્ષણ નીતિ બાબતે MyGov પોર્ટલ દ્વારા શિક્ષકોના ૧૫ લાખ સૂચનો મળ્યાં છે. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ અપાવું જોઈએ. ભાષા અભ્યાસનું માધ્યમ છે. ભાષા સ્વયં અભ્યાસ નથી.’



રોગચાળા વચ્ચે કેવી રીતે યોજાશે પરીક્ષા? કેન્દ્ર સરકારે સુધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર કરી


રોગચાળાના માહોલમાં પરીક્ષાઓના આયોજનના નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOP) સરકારે જાહેર કર્યા છે. નવા SOP માં સિમ્પ્ટૉમૅટિક દરદી હોય એવા પરીક્ષાર્થીઓને આઇસોલેશનમાં પરીક્ષા આપવાની છૂટની જોગવાઈ બંધ કરવામાં આવી છે. નવી જોગવાઈ અનુસાર સિમ્પ્ટૉમૅટિક દરદી હોય એવા વિદ્યાર્થીને નજીકના હેલ્થ સેન્ટરમાં મોકલીને અન્ય રીતે પરીક્ષા આપવાનો અવસર આપવો જોઇએ. જો એ શક્ય ન હોય તો યુનિવર્સિટી કે કૉલેજે એ વિદ્યાર્થી ફિઝિકલી ફિટ થાય ત્યારે પરીક્ષા આપવાની છૂટ આપવી જોઇએ. જોકે સિમ્પ્ટૉમૅટિક દરદી હોય એવા વિદ્યાર્થીને પરીક્ષા આપવાની પરવાનગી આપવા કે નહીં આપવાનો નિર્ણય પરીક્ષાની આયોજક સંસ્થાએ ઘડેલી નીતિ અનુસાર લેવાની સૂચના SOP માં આપવામાં આવી છે.

SOP માં અન્ય શી જોગવાઈઓ છે


કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં પરીક્ષા કેન્દ્રો ચાલવા ન જોઇએ.
પેન વડે પ્રશ્નપત્રોના ઉત્તરો લખવાના હોય એવી પરીક્ષાઓમાં વિદ્યાર્થી અને સુપરવાઇઝર બન્નેએ હાથ સૅનિટાઇઝ કરવાના રહેશે.
પરીક્ષા કેન્દ્રમાં ઉત્તર પત્રિકાઓ ભેગી કર્યાના 72 કલાક બાદ એનું પૅકેટ ખોલવાનું રહેશે.
પ્રશ્નપત્રો કે ઉત્તર પત્રિકાઓની વહેંચણી માટે થુંક કે લાળનો ઉપયોગ નહીં કરી શકાય
સ્ક્રીનિંગ દરમ્યાન સિમ્પ્ટૉમૅટિક જણાતા પરીક્ષાર્થી માટે પરીક્ષા કેન્દ્રમાં આઇસોલેશન રૂમ રાખવાનો રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2020 02:54 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK