60 વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વૅક્સિન આપશે
ફાઈલ તસવીર
કેન્દ્ર સરકારે ગઈ કાલે કોરોના વૅક્સિન વિશે એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે ૪૫ વર્ષથી ઉપરના બીમાર અને ૬૦ વર્ષથી ઉપરના દરેક લોકોને સરકારી કેન્દ્ર પર ફ્રીમાં વૅક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ૧૦,૦૦૦ સરકારી અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિનેશન ૧ માર્ચથી શરૂ થશે. દેશમાં ૧૦ કરોડ ૪૦ લાખ લોકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધારે છે.
જાવડેકરે કહ્યું કે સરકારી કેન્દ્રો સિવાય ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિનેશન માટે ચાર્જ આપવો પડશે. જે લોકો ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિન લેવા માગે છે તે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. આગામી ૩-૪ દિવસમાં સ્વાસ્થ્ય મંત્રાલય આ વિશે નિર્ણય લેશે કે ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિનેશન માટે કેટલી ફી ચૂકવવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય આ વિશે મૅન્યુફૅક્ચર્સ અને હૉસ્પિટલો સાથે વાત કરી રહ્યું છે.
ADVERTISEMENT
દુનિયામાં ઘણા દેશોએ, ખાસ કરીને ચીને ગયા વર્ષે જૂનમાં અને રશિયાએ ઑગસ્ટમાં વૅક્સિનેશન શરૂ કરી દીધું છે, જ્યારે અમેરિકા, બ્રિટન સહિત મોટા ભાગના દેશોએ ડિસેમ્બરમાં વૅક્સિનેશનની શરૂઆત કરી છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીથી વૅક્સિનેશન શરૂ થયું છે.