સુપ્રીમે સુદર્શન ટીવીના કાર્યક્રમ યુપીએસસી જિહાદને અટકાવ્યો
સુપ્રીમ કોર્ટ
‘સરકારી સેવાઓમાં મુસ્લિમોને ઘુસાડવાના કાવતરાના પર્દાફાશ’ તરીકેનો દાવો કરતા ‘બેલગામ’ સુદર્શન ટીવીના કાર્યક્રમ સામે સવાલ ઉઠાવતાં સર્વોચ્ચ અદાલતે મંગળવારે જણાવ્યું હતું કે માધ્યમોમાં અમુક અંશે આત્મનિયમન હોવું જોઈએ. સુદર્શન ટીવીના શો યુપીએસસી જિહાદના ટેલિકાસ્ટ પર ગઈ કાલે સ્ટે મૂકતાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
સુદર્શન ચૅનલના આ કાર્યક્રમ સામે નારાજગી વ્યક્ત કરતી અરજીની સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમે કહ્યું હતું કે જે રીતે કેટલાંક મીડિયા હાઉસ ડિબેટ હાથ ધરી રહ્યાં છે એ ચિંતાનો વિષય છે, કારણ કે એમાં તમામ પ્રકારની અપમાનજનક બાબતો કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમ તરફ નજર કરો, એક સમુદાય સનદી સેવાઓમાં પ્રવેશી રહ્યો છે એવું જણાવતો આ કાર્યક્રમ કેટલો ઝનૂની છે એમ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમનો વિષય એ તરફ સંકેત કરે છે કે મુસ્લિમોએ સેવાઓમાં પગપેસારો કર્યો છે અને એનાથી કોઈ પણ પ્રકારના તથ્યના આધાર વગર યુપીએસસીની પરીક્ષાઓ સામે શંકાની સોય તકાય છે તેમ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે. એમ. જોસેફને સમાવતી બેન્ચે જણાવ્યું હતું.