ગે મૅરેજિસ આપણાં કાયદા, મૂલ્યો હેઠળ અમાન્ય : કોર્ટને સરકારે કહ્યું
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે સોમવારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે સમલૈંગિક દંપતી વચ્ચેનાં લગ્નને ‘આપણા કાયદા, કાનૂનવ્યવસ્થા, સમાજ તથા આપણાં મૂલ્યો’ દ્વારા માન્યતાપ્રાપ્ત ન હોવાથી આવો લગ્નસંબંધ ‘પરવાનગીપાત્ર’ નથી.
હિન્દુ મૅરેજ ઍક્ટ (એચએમએ) અને સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ સમાન લિંગની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્નને માન્યતા આપવામાં આવે, એની માગણી કરતી પીઆઇએલની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતા દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મહેતાએ પિટિશનમાં માગવામાં આવેલી રાહતનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે અને આપણા કાયદા, આપણી કાનૂનવ્યવસ્થા, આપણો સમાજ અને આપણાં મૂલ્યો સમલૈંગિક દંપતી વચ્ચેના લગ્નસંબંધને માન્યતા આપતા નથી.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આ પ્રકારનાં લગ્નોની નોંધણીની પરવાનગી આપવાની અથવા તો લગ્નોને માન્યતા આપવાની માગણી કરતી અરજી બે કારણસર પરવાનગીપાત્ર નથી – એક તો, પિટિશન અદાલતને કાયદો ઘડવા જણાવી રહી છે અને બીજું, જો અરજીમાં માગણી કર્યા પ્રમાણેની રાહત આપવામાં આવશે, તો એ રાહત વિવિધ કાયદાકીય જોગવાઈઓથી વિરોધાભાસી હશે.’