નાઇટ કરફ્યુ લાદી શકાશે પણ લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી
પ્રતીકાત્મક તસવીર
રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો કોવિડ-19ના રોગને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યુ જેવા સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં લૉકડાઉન લાગુ કરતાં પહેલાં કેન્દ્ર સાથે ચર્ચા કરવી આવશ્યક છે એમ ગૃહ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. ડિસેમ્બર મહિનામાં સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે
આ નિર્દેશો જાહેર કરવા પાછળનો મુખ્ય હેતુ કોવિડ-19ના ફેલાવા સામે મળેલા નોંધપાત્ર લાભોને એકત્રિત કરવાનું છે, જેના કારણે કોવિડ-19ના કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં તહેવારની મોસમ અને ઠંડીને કારણે રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલા અમર્યાદ વધારાને જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં મહામારીને નાથવા માટે સાવચેતી જાળવવાની તેમ જ કોવિડ-19ના પ્રોટોકૉલનું પાલન કરવાની આવશ્યકતા છે.
ADVERTISEMENT
આ કન્ટેનમેન્ટ સ્ટ્રૅટેજી દ્વારા સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એસઓપી તથા માર્ગદર્શિકાના કડકપણે પાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો કોવિડ-19ના પ્રસારની તેમની આકારણીના આધારે રાત્રિ કરફ્યુ જેવા સ્થાનિક પ્રતિબંધો લાગુ કરી શકે છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનની બહાર રાજ્ય, જિલ્લા, પેટા વિભાગ, શહેરના સ્તર પર કેન્દ્ર સરકારની સલાહ તેમ જ પરવાનગી લીધા વિના લૉકડાઉન લાગુ કરી શકાશે નહીં એમ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ માર્ગદર્શિકા પહેલી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે.
કોરોના રસી આપવા વોટિંગ બૂથ જેવાં કેન્દ્રો બનાવવામાં આવશે
કોરોના વાઇરસનો સામનો કરવા માટે હાલ ભલે કોઈ દવા કે વેક્સિનને સરકાર તરફથી મંજૂરી ન મળી હોય પણ ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. આમ તો દરેક દેશવાદીઓને કોરોનાથી રક્ષણ આપવા માટે વેક્સિનનો ડોઝ આપવાની યોજના છે પરંતુ સૌથી પહેલાં ૩૦ કરોડ લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવશે.
પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટિઝનને કોરોનાની વેક્સિન આપવાની તૈયારી છે. વેક્સિન માટે નીતિ આયોગ તરફથી આપવામાં આવેલી સલાહ પ્રમાણે જે રીતે ચૂંટણીમાં પોલિંગ બૂથ હોય છે તેવી જ રીતે વેક્સિન બૂથ બનાવીને લોકો સુધી કોરોનાની વેક્સિન પહોંચાડવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી ગઈ કાલે રાજ્યોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે મુખ્ય પ્રધાનોને એક પ્રેઝન્ટેશન આપતા કહ્યું હતું કે કોરોના વેક્સિન લગાવવા માટે પોલિંગ બૂથની માફક જ ટીમો બનાવવામાં આવશે અને બ્લોક લેવલ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે.