એલઓસી પર હવે નહીં ચલાવાય ગોળી
પ્રતીકાત્મક તસવીર
એલઓસી પર શાંતિની પહેલના ભાગરૂપે ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ)એ હૉટલાઇનના માધ્યમથી પરસ્પર વાતચીત કરી બન્ને દેશની સીમા પર શાંતિ જાળવવા સહમતી કેળવી છે. અર્થાત્ હવે એલઓસી પર કોઈ પણ પક્ષ ગોળી નહીં ચલાવે. એલઓસી પર વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતાં બન્ને દેશની સેનાઓએ તમામ કરાર તેમ જ યુદ્ધવિરામની શરતોનું સખતાઈથી પાલન કરવા માટે સહમતી કેળવી છે, જે ગઈ કાલ રાતથી જ અમલમાં આવી ગઈ છે.
ભારત અને પાકિસ્તાને એલઓસી અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર, સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની સમીક્ષા કરી હતી તથા બન્ને દેશના ડીજીએમઓ પરસ્પર કાયમી શાંતિ સ્થાપિત કરવા સહમત થયા હતા. આ ઉપરાંત બન્ને દેશના ડીજીએમઓએ કોઈ પણ અણધારી પરિસ્થિતિ કે ગેરસમજ દૂર કરવા માટે હૉટલાઇનથી વાત કરવા કે પછી બૉર્ડર પર ફ્લેગ મીટિંગના તંત્રનો ઉપયોગ કરવાનું ઠરાવ્યું હતું.