દેશમાં કોરોનાના 37 હજારથી વધુ નવા કેસ
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોના વાઇરસ ઇન્ફેક્શનના વધુ ૩૭,૯૭૫ કેસ નોંધાતાં અત્યાર સુધીના કેસનો કુલ આંકડો ૯૧,૭૭,૮૪૦ ઉપર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ સાજા થયેલા દરદીઓનો કુલ આંકડો ૮૬,૦૪,૯૫૫ (નૅશનલ રિકવરી રેટ ૯૩. ૭૬) પર પહોંચ્યો છે. ઍક્ટિવ કેસનો આંકડો પાંચ લાખથી નીચે રહેતાં ૪,૩૮,૬૬૭ (ટોટલ કેસલોડના ૪. ૭૮ ટકા) પર પહોંચ્યો છે.
ચોવીસ કલાકમાં ૪૮૦ જણ મૃત્યુ પામ્યા હતા. તેમાં ૧૨૧ મૃતકો દિલ્હીના, ૪૭ પશ્ચિમ બંગાળના અને ૩૦ મહારાષ્ટ્રના છે. આ આંકડા સાથે રોગચાળાનો કુલ મરણાંક ૧,૩૪,૨૧૮ (૪૬,૬૫૩ મહારાષ્ટ્રના) પર પહોંચ્યો છે. એકંદરે મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાના મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. રોગચાળાનો મૃત્યુ દર ૧.૪૬ ટકા નોંધાયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર)ના આંકડા પ્રમાણે સોમવારે દિવસ દરમ્યાન દેશભરમાં ૧૦,૯૯,૫૪૫ સૅમ્પલ્સ તપાસવામાં આવતાં અત્યાર સુધીમાં ૨૩ નવેમ્બર સુધીમાં તપાસવામાં આવેલા કુલ સૅમ્પલ્સની સંખ્યા ૧૩.૩૬ કરોડ પર પહોંચી છે.