જો બજારો, રેસ્ટોરાં, બસો અને મેટ્રો ચાલુ હોય તો સ્પા કેમ બંધ?
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં લૉકડાઉન ખોલવાના સિલસિલામાં દિલ્હી શહેરમાં બજારો, બસો, જિમ્નૅશ્યમ્સ, મેટ્રો રેલવે, રેસ્ટોરાં વગેરે ચાલતાં હોય તો સ્પા કેમ બંધ રાખવામાં આવ્યા છે ? એવો સવાલ દિલ્હી વડી અદાલતના ન્યાયમૂર્તિ નવીન ચાવલાએ દિલ્હીની રાજ્ય સરકારને કર્યો હતો. ૧૮ નવેમ્બરના મેમોરેન્ડમમાં સ્પા ખોલવાની છૂટ અપાઈ હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું ત્યારે ન્યાયમૂર્તિ નવીન ચાવલાએ રાજ્ય સરકારને પૂછ્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે દિલ્હી શહેરમાં કોરોના રોગચાળાના ત્રીજી વખતના આક્રમણને કારણે સ્પા ખોલવાની છૂટ આપવામાં આવી નથી.
રાજ્ય સરકારના વકીલે જણાવ્યું હતું કે ત્રીજી વખત રોગચાળાનો પ્રકોપ ભભૂકી ઊઠ્યો હોવાથી સ્પા ખોલવાની પરવાનગી ન અપાઈ હોવાની સૂચના મૌખિક રૂપે જણાવાઈ હોવાથી ઍફિડેવિટ ફાઇલ કરવા માટે થોડો વખત ફાળવવાની અદાલતને વિનંતી કરીએ છીએ. ન્યાયમૂર્તિ નવીન ચાવલાએ જણાવ્યું હતું કે ઍફિડેવિટમાં બજારો, રેસ્ટોરાં, બસો અને મેટ્રો રેલવે જેવી તમામ સુવિધાઓ કાર્યરત હોય ત્યારે ફક્ત સ્પા ખોલવાની પરવાનગી શા માટે ન અપાઈ એની સ્પષ્ટતા કરવાની રહેશે.