પાકિસ્તાનની સરહદે સીમા સુરક્ષા દળને છૂપી ટનલ મળી
ટનલ
જમ્મુમાં પાકિસ્તાન તરફની સરહદે સીમા સુરક્ષા દળને છૂપી ટનલ મળી હતી. એ ટનલનો ઉપયોગ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ તેમ જ ગેરકાયદે લોકોની ઘૂસણખોરી માટે કરવામાં આવતો હોવાનું મનાય છે. જમ્મુના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન અને ભારતના પ્રદેશોને છૂટા પાડતી સરહદી કાંટાળી વાડથી ભારત તરફના ભાગમાં પચાસેક મીટરના અંતરે ઉક્ત ટનલ મળી હતી.
ટનલના મુખ પાસે પાકિસ્તાનના ચિહનો ધરાવતા રેતી ભરેલા પ્લાસ્ટિકના કોથળા પણ હતા. એ કોથળા પર કરાચી-શંકરગઢ લખેલું હતું. એ જગ્યાથી સૌથી નજીકની પાકિસ્તાનની સરહદી છાવણી ટનલથી ૪૦૦ મીટર દૂર છે. સીમા સુરક્ષા દળના મહાનિયામક રાકેશ અસ્થાનાના આદેશ હેઠળ તમામ સરહદી ક્ષેત્રોમાં પાડોશી દેશો કે શત્રુ દળોની ટનલો કે અનામી બાંધકામો જેવી છૂપી વ્યવસ્થાઓ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સીમા સુરક્ષા દળે પંજાબમાં સરહદ પર પાંચ સશસ્ત્ર ઘૂસણખોરોને મારી નાખ્યા પછી છૂપા ભોંયરા અને ટનલો ઉપરાંત દુશ્મનોના ઘૂસણખોરીના માર્ગો શોધવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.