એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે ભારતમાં તેની કામગીરી બંધ, સરકાર પર ગંભીર આક્ષેપો
એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ
ભારત સરકાર પર પરેશાન કરવાનો આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ઇન્ડિયાએ ભારતમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે મોદી સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ તેના તમામ અકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવાયાં, જેના કારણે તેણે તેના મોટાભાગના સ્ટાફને છૂટો કરવો પડ્યો અને ભારતમાં ચલાવાઈ રહેલા કેમ્પેઇન અને રીસર્ચ વર્કને અટકાવી દેવાં પડ્યાં. તો બીજી તરફ સરકારના જણાવ્યા પ્રમાણે આ સંસ્થાએ ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) અૅક્ટ હેઠળ કદી નોંધણી કરાવી નથી, જે વિદેશી ફન્ડિંગ માટે જરૂરી હોય છે.
ઉલ્લેખનીય છે કે એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ઇન્ડિયા પર વિદેશી ફન્ડિંગ મેળવવામાં ગેરરીતિ આચરવાનો આરોપ છે, જેની તપાસ ઈડી ચલાવી રહી છે. ગૃહ મંત્રાલયે સંસ્થા પર ભારતમાં એફડીઆઇ થકી નાણાં મગાવવાનો આરોપ લગાવ્યો છે, જેની બિન-નફાકારી સંસ્થાઓને પરવાનગી નથી.
ADVERTISEMENT
૨૦૧૭માં ઈડીએ સંસ્થાનાં બૅન્ક અકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં, ત્યાર બાદ સંસ્થાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેને અમુક રાહત મળી હતી, પરંતુ તેનાં અકાઉન્ટ્સ સીલ હતાં. ગયા વર્ષે સીબીઆઇએ પણ સંસ્થા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.