Rathyatra 2019 : નેત્રોત્સવ વિધિમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે
ભગવાન જગન્નાથની રથયાત્રા
Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા માટે આખુ શહેર તૈયાર છે. ભક્તોનો ઉત્સાહ પણ અનેરો હોય છે. મંગળવારે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળદેવજીનો ગર્ભગૃહ પ્રવેશ થયો છે. ત્યાર બાદ સવારે 8 વાગ્યાથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવની વિધિ રથયાત્રાના આગળના દિવસે હોય છે. પણ આ વર્ષે આ વિધિ 2 દિવસ પહેલા કરવામાં આવી છે.
જાણો, નેત્રોત્સવ વિધિમાં શું થાય છે
ભગવાન જગન્નાથની રથયાત્રા 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જાય છેઅને ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સવારે 9.30 વાગે થયા બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. આ વિધિ અમદાવાદના મેયર બીજલન પટેલ દ્વારા કરાઈ હતી. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવી હતી. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.
આ પણ જુઓ : Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા
ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે સોમવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયોગ કરશે.