નેહરુ મેમોરિયલ કૉન્ગ્રેસમુક્ત થયું : ગૃહપ્રધાન અમિત શાહની એન્ટ્રી
(જી.એન.એસ.) નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી સોસાયટી હવે કૉન્ગ્રેસમુક્ત થઈ ચૂકી છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી સોસાયટીની નવેસરથી રચના થઈ. એમાંથી કૉન્ગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને કરણ સિંહને હટાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ગૃહપ્રધાન અમિત શાહને એન્ટ્રી મળી છે. સાસોયટીનું પુનર્ગઠન કરતાં કમિટીમાં ટીવી પત્રકાર રજત શર્મા, ગીતકાર પ્રસૂન જોશી અને રાજ્યસભા સભ્ય સ્વપ્નદાસ ગુપ્તા સહિત અન્ય મહત્ત્વના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સોસાયટીના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.
મૂળે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરીને દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની યાદમાં બનાવવામાં આવ્યું હતું. રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આ સોસાયટીના ઉપાધ્યક્ષ છે. બીજી તરફ, પ્રકાશ જાવડેકર અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એમાં સભ્ય છે. નેહરુ મેમોરિયલને દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની યાદમાં બનાવવામાં આવ્યું છે.
નવા સભ્યો આ પ્રમાણે છે
સોસાયટીના નવા સભ્યોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, એચઆરડી પ્રધાન રમેશ પોખરિયાલ, માહિતી-પ્રસારણ અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર, વી. મુરલીધરન અને પ્રહ્લાદ સિંહ પટેલ ઉપરાંત આઇસીસીઆર અધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધે, પ્રસાર ભારતી અધ્યક્ષ એ. સૂર્ય પ્રકાશ સામેલ છે. બીજી તરફ, નેહરુ મેમોરિયલ સોસાયટીમાં અનિર્બન ગાંગુલી, સચ્ચિદાનંદ જોશી, કપિલ કપૂર, લોકેશ ચંદ્ર, મકરંદ પરાંજપે, કિશોર મકવાણા, કમલેશ જોશીપુરા, રિઝવાન કાદરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે.