શિવસેનાને અમારા પક્ષના વિચારો સમજાવવા જરૂરી : થોરાત
બાળાસાહેબ થોરાત
રાજ્ય કૉન્ગ્રેસ પ્રમુખ અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે ‘શાસક પક્ષ શિવસેનાને વહીવટ તથા કલ્યાણકારી યોજનાઓ વિશેના કૉન્ગ્રેસના વિચારો વિશે સમજાવવું તેમના માટે જરૂરી હતું.’
થોરાતે ગુરુવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધા બાદ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. એમવીએના અન્ય સાથીપક્ષો દ્વારા કૉન્ગ્રેસની અવગણના કરવામાં આવતી હોવાના ગણગણાટના સંદર્ભમાં કૉન્ગ્રેસનાં હિતો સુનિશ્ચિત કરવા માટે સીએમ સાથેની રૂબરૂ મુલાકાત બેઠક જરૂરી હતી, કારણ કે કૉન્ગ્રેસ પણ સરકારનો ભાગ છે અને જનતા માટે સાનુકૂળ ભૂમિકા ભજવવા માગે છે. અગાઉ ‘સામના’માં કૉન્ગ્રેસની ટીકા કરતાં એને ક્રૂર-ક્રૂર કરતા જૂના ખાટલા સાથે સરખાવ્યો હતો ત્યારે થોરાટે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ખાટલો કેમ અવાજ કરે છે એ સાંભળે. આ બેઠક સકારાત્મક રહી હતી અને અમે પ્રસન્ન છીએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વહીવટી મુદ્દાઓ ઉપરાંત મુખ્ય પ્રધાન સાથે કેટલાક રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કૉન્ગ્રેસના પ્રધાન અને ભૂતપૂર્વ સીએમ અશોક ચવાણ, સેનાના સંસદસભ્યો સંજય રાઉત અને અનિલ દેસાઈ પણ બેઠકમાં ઉપસ્થિત હતા.